સુરત : ઘોર નિંદ્રામાં રહેલી સરકારને જગાડવા શરૂ કરાયું પોસ્ટકાર્ડ અભિયાન, જાણો શું છે લોકોની માંગણી..
સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા તેમજ કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરવામાં આવી હતી.
સુરત શહેરના પુણાગામ ખાતે આવેલી વિવિધ સોસાયટીઓના રહીશોએ કોર્પોરેટર દિનેશ સાવલિયા અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાની આગેવાનીમાં પોસ્ટ ઓફિસ ખાતે ભેગા થઈ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા તેમજ કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ કરવામાં આવી હતી.
સમગ્ર પોસ્ટકાર્ડ અભિયાનમાં સુરતના પુણાગામની વિવિધ સોસાયટીઓના રહીશો મોટી સંખ્યામાં જોડાઈ અંદાજે 5 હજારથી વધુ પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને લખવામાં આવ્યા હતા. શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં 12 ધારાસભ્ય હોવા છતાં લોકોની માંગ સરકાર સુધી પહોંચાડવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે, ત્યારે ઘોર નિંદ્રામાં રહેલી સરકારને જગાડવા માટે પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.