સુરત : શાળા દ્વારા વાલીઓને ફી ભરવા અંગે દબાણ, વાલીઓએ 5000 પત્રો લખી પ્રધાનમંત્રીને કરી રજૂઆત
સુરતમાં છેલ્લા ઘણા દિવસથી શહેરની વિવિધ શાળા દ્વારા વાલીઓને ફી ભરવા અંગે દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ફી માફ કરવાની માંગ સાથે વાલીઓએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી રજૂઆત કરી છે.
સમગ્ર રાજ્યમાં વધતાં જતાં કોરોના વાયરસના સંક્રમણના કારણે સરકાર દ્વારા લોકોના વેપાર-ધંધા સહિત શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમ્યાન શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે હાલના સમયે વાલીઓના ધંધા-રોજગાર બંધ છે, ત્યારે છેલ્લા ઘણા દિવસોથી શહેરની વિવિધ શાળા દ્વારા ફી માટે જાણે પઠાણી ઉઘરાણી થતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સુરત શહેરની કેટલીક શાળાના સંચાલકો દ્વારા વાલીઓને ફી ભરવા અંગે વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાલીઓએ અગાઉ પ્રધાનમંત્રીને ઈમેઈલ તેમજ ફેક્સ મારફતે ઓનલાઇન રજૂઆત કરી હતી. તેમ છતાં આ મામલે કોઈ નિરાકરણ નહીં આવતા વાલીઓએ NSUIના કાર્યકરોને સાથે રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ 5000થી વધુ પત્રો લખી છેલ્લા 6 મહિનાની શાળા ફી માફ કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી મોદીને રજૂઆત કરી છે.