સુરત : 5 વર્ષીય બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમને કોર્ટે ફટકારી ફાંસીની સજા...
પુણા વિસ્તારમાં બાળકી સાથે થયેલ દુષ્કર્મનો મામલો
દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય કરનારને ફાંસીની સજા
સમાજમાં દાખલો બેસાડવા ન્યાયતંત્રએ આપ્યો ચુકાદો
સુરત શહેરમાં દિનપ્રતિદિન હત્યા બળાત્કાર અને લૂંટ જેવી ગંભીર ઘટનાઓ ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક ગુનાઓને ડામવામાં સુરત પોલીસ સહિત ન્યાયતંત્ર પણ કામે લાગ્યું છે. તેવામાં ગત તા. 13 એપ્રિલના રોજ સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ ભૈયાનગર પાસે એક માસૂમ બાળકીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. રાત્રીના 2 વાગ્યાના અરસામાં એક ઈસમે ફૂટપાથ પર માતાના પડખામાં સુતેલી 5 વર્ષીય બાળકીનું અપહરણ કર્યું હતું.
જોકે, બાદમાં માસુમ બાળકી રડવા લાગતા પકડાઈ જવાના ડરથી આખરે આ ઈસમે બાળકીનું ગળું દબાવી તેની ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ બાળકીના મૃતદેહને ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલા ટેમ્પો પાછળ કચરાના ઢગલામાં છુપાવીને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ કેસના સરકારી વકીલની ધારદાર દલીલો બાદ આરોપીને ફાંસીની સજા સંભળાવા સાથે ભોગ બનનાર પરિવારને રૂપિયા 3 લાખનું વળતર આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. જોકે, સમાજમાં દાખલો બેસે તે માટે સુરત કોર્ટે વધુ એક આરોપીને ફાંસીની સજા સંભળાવી હોવાનું પણ સરકારી વકીલે જણાવ્યુ હતું.