સુરત : કામરેજના જોખા ગામના સરપંચ આવાસના કામ પેટે 50 હજાર રૂા.ની લાંચ લેતા ઝડપાયાં
એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સરપંચના મકાનમાં છટકુ ગોઠવીને સરપંચના કારસ્તાનનો પર્દાફાશ કરાયો છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખા ગામના સરપંચ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓના મંજુર થયેલાં મકાનો બનાવી આપવાનું કામ આપવા માટે 50 હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાય ગયાં છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સરપંચના મકાનમાં છટકુ ગોઠવીને સરપંચના કારસ્તાનનો પર્દાફાશ કરાયો છે.
રાજયમાં ભ્રષ્ટાચારને રોકવા માટે એસીબી સક્રિયતાથી કામગીરી કરી રહી છે તેમજ જાગૃત નાગરિકો પણ લાંચ આપવાના બદલે લાંચિયાઓને જેલના સળિયા ગણાવવાનું પસંદ કરી રહયાં છે. આવા જ એક કિસ્સામાં કામરેજના જોખા ગામના સરપંચને 50 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવાયાં છે. આ ગુનાની વિગત પર નજર નાખવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જોખા ગામના લાભાર્થીઓના મંજુર થયેલા મકાનો બનાવી આપવાનું કામ આપવાના અવેજ પેટે આ કામના આરોપી અને ગામના સરપંચ હિતેશ જોષીએ ફરીયાદી પાસે અગાઉ રૂપિયા-૧૧,૦૦૦ તથા ૪૦,૦૦૦ મળી કુલ 50 હજાર રૂપિયા લીધા હતાં. 50 હજાર રૂપિયા પડાવ્યાં બાદ પણ સરપંચે ફરિયાદીને તેમના ઘરે બોલાવી બીજા 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદી બીજા 50 હજાર રૂપિયા આપવા માંગતા નહિ હોવાથી તેમણે એસીબીનો ફોનથી સંપર્ક કર્યો હતો. સુરત એસીબી ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે.સોલંકી તથા તેમના સ્ટાફે સરપંચના મકાનમાં જ છટકુ ગોઠવ્યું હતું અને આરોપી સરપંચને ફરિયાદી પાસેથી 50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. પોલીસે આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર કાર્યવાહી એસીબી- સુરતના મદદનીશ નિયામક એન.પી.ગોહીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.