સુરેન્દ્રનગર : ખેરાળી-માળોદ નજીક રિક્ષા કેનાલમાં ખાબકી, રેસક્યું કરી 3 લોકોને બચાવ્યા બાદ 1 મહિલાની શોધખોળ હાથ ધરાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી-માળોદ માર્ગ નજીક રીક્ષાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રીક્ષા પલટી મારી કેનાલમાં ખાબકતા આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી હતી.
વઢવાણ તાલુકાના ખેરાળી-માળોદ માર્ગ પરથી પસાર થતી એક રીક્ષાનું ટાયર અચાનક
ફાટી ગયું હતું, ત્યારે રિક્ષાચાલકનો સ્ટિયરિંગ ઉપર કાબૂ ન રહેતા રિક્ષા સીધી કેનાલમાં
ખાબકી હતી. રિક્ષા કેનાલમાં ખાબકતાની સાથે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી જવા
પામી હતી. બનાવની જાણ થતાં જ વઢવાણ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, કેનાલમાં ખાબકેલી રિક્ષામાં રિક્ષાચાલક સહિત અન્ય 3 જેટલા મુસાફરો સવાર
હતા, જેઓને ગ્રામજનો અને વઢવાણ ફાયર ફાયટરની ટીમે
રેસક્યું હાથ ધરી બચાવી લીધા હતા. જોકે મોડી સાંજ સુધી
એક મહિલાનો પત્તો ન લાગતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. હાલ તો સુરેન્દ્રનગર
પોલીસે આ મામલે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.