સુરેન્દ્રનગર : પોલીસે લૂંટના આરોપીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ, જુઓ ક્યાં લઈ જઈ કરાવ્યુ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
સુરેન્દ્રનગરની આંગડિયા પેઢીમાં ધોળા દિવસે રૂપિયા
૧.૬૦ લાખની લૂંટ ચલાવનાર ૩ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, ત્યારે ઝડપાયેલ લૂંટના ત્રણેય
આરોપીઓનું પોલીસે શહેરના મુખ્ય માર્ગ પર સરઘસ કાઢી બનાવના સ્થળે ઘટનાનું
રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગર શહેરના મેઈન રોડ પર આવેલ માધવ મગન આંગડિયા પેઢીના કર્મચારીને ધોળા દિવસે માર મારી તેની પાસેથી રૂપિયા ૧.૬૦ લાખની લૂંટ ચલાવી ૩ જેટલા અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા, ત્યારે ગણતરીના દિવસોમાં જ સુરેન્દ્રનગર પોલીસે રૂપિયા ૧.૬૦ લાખની લૂંટના મામલામાં ૩ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.
ઉપરાંત શહેરમાં ફરતા અન્ય ગુન્હેગારોમાં ડર બેસાડવાના હેતુથી પોલીસે ઝડપાયેલા લૂંટના ત્રણેય આરોપીઓનું શહેરના મુખ્ય માર્ગ પર સરઘસ કાઢ્યું હતું, ત્યારે શહેરના મેઈન રોડ પર આવેલ માધવ મગન આંગડિયા પેઢીની ઓફિસમાં ત્રણેય આરોપીઓને લઇ જવામાં આવ્યા હતા. મહિલા પી.આઈ., પી.એસ.આઈ. સહિતના પોલીસ કાફલાની હાજરીમાં આરોપીઓ પાસે સમગ્ર લૂંટની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર લૂંટના મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.