વડોદરા:T20 વનડેમાં રમેલો ક્રિકેટર આજે રોડ પર વેચે છે નોનવેજ
BCAના સિલેક્ટર્સ પર કાઢ્યો બળાપો
બરોડા ક્રિકેટ એસો.માં ટીમની પસંદગીમાં વ્હાલા-દવલાની નીતિ અપનાવાતી હોવાનો ધડાકો સિનિયર પ્લેયરે કર્યો છે. ક્રિકેટર સારુ પ્રદર્શન કરે છતાં સિલેક્ટર્સ પોતાના પસંદગીના જ ખેલાડીને ટીમમાં સ્થાન આપતા હોવાના આક્ષેપ ઓલ રાઉન્ડર કામરાન શેખે કર્યાં છે.
રણજી ટ્રોફીની ચાલુ સિઝનમાં બરોડાની ટીમની હાલત કફોડી છે. અં-23ને બાદ કરતાં બીસીએની અન્ય ટીમનું પ્રદર્શન કથળ્યું છે. આ પ્રકારના સતત ખરાબ પ્રદર્શનને કારણે બરોડા ક્રિકેટ એસો.માં પ્લેયર્સની સિલેક્શનની પ્રક્રિયા સામે સવાલો ઊભા થઈ રહયાં છે. સિલેક્ટર્સ દ્વારા પ્રદર્શન કરનાર પ્લેયર્સને નજર અંદાજ કરી પોતાના મનપસંદ ક્રિકેટર્સને મહત્ત્વ આપતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. વડોદરાના ક્રિકેટર્સ વ્હલા-દવલાની નીતિનો ભોગ બનતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. સિલેક્શન પ્રક્રિયાથી ક્રિકેટર્સ એટલી હદે નાખુશ છે કે તેઓને હવે નાછૂટકે મીડિયા સમક્ષ આવું પડે છે.
બરોડા ઓલ રાઉન્ડર કામરાન શેખ સાથે પણ રણજી ટીમની પસંદગી પ્રક્રિયામાં અન્યાય થયો હતો. આ સંદર્ભે કામરાન શેખે ‘સંદેશ’ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હું રાઇટ હેન્ડ બેટ્સમેન અને ઓફ-બ્રેક બોલર છું. ગત વર્ષની સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું. સંભવીત ખેલાડીઓમાં મારો સમાવેશ કરાયો અને ત્યારબાદ ફિટનેસ ટેસ્ટ દરમિયાન બહાર કાઢી મુકાયો હતો. હોદ્દેદારોને કારણ પૂછયું તો કોઈએ સરખો જવાબ આપ્યો નહીં અને એક-બીજાને ખો આપી હતી.
અમેરિકામાં પિટ્સબર્ગ લિગ ટી20માં 30 બોલમાં 100 રન કર્યા, આ વર્ષે જ એચ.ડી.ઝવેરી લિગમાં ટુ-ડે ક્વોલિફાય મેચમાં પણ 100 રન અને સંગ્રામસિંહ ગાયકવાડ ગ્રાઉન્ડ પર પણ 60 રન કર્યાં હતાં. મારું પ્રદર્શન સતત સારું હોવાછતાં મારો ટીમમાં સમાવેશ થતો નથી. રણજીની એક મેચ રમાવાનો પણ મોકો આપવામાં આવ્યો નથી. અત્યારસુધી આઠ વર્ષમાં મને ફક્ત એક જ ટી20 અને વન-ડે મેચ રમાવાનો ચાન્સ આપવામાં આવ્યો છે. બેદરકાર સિલેક્ટર્સને કારણે અત્યારે હું નોનવેજ વેચવાનો ધંધો કરું છું.
પઠાણ-પંડયા બંધુ હોવા છતાં હું મેન ઓફ ધી સિરીઝ બન્યો રિલાયન્સ ગ્રાઉન્ડ પર દોઢ-બે વર્ષ અગાઉ કિરણ મોરે ટી20 સિલેક્શન મેચમાં ઇરફાન, યુસુફ, હાર્દિક અને કૃણાલ સાથે હું પણ રમ્યો હતો. આ મેચમાં મારા સારા પ્રદર્શનને કારણે પઠાણ-પંડયા બંધુઓ વચ્ચે મેન ઓફ ધી સિરીઝ જાહેર કરાયો હોવાનું કામરાન શેખે ઊમેર્યું હતું.