જૈક ડોર્સીએ ટ્વિટરના CEO પદ પરથી આપ્યું રાજીનામું, હવે નવા CEO તરીકે પરાગ અગ્રવાલ
ડોર્સીએ કહ્યું કે મને CEO તરીકે પરાગ પર વિશ્વાસ છે. છેલ્લા 10 વર્ષમાં અહીં તેમની કામગીરી શાનદાર રહી છે.
માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરના સહસંસ્થાપક જૈક ડોર્સી (Jack Dorsey)એ કંપનીના CEO તરીકેના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. ત્યારબાદ કંપનીના બોર્ડે ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO)પરાગ અગ્રવાલને કંપનીના નવા CEO તરીકે નિમણૂંક કરવાની જાહેરાત કરી છે.
ડોર્સીએ એક નિવેદનમાં કહ્યું છે કે મે ટ્વિટર છોડવાનો નિર્ણય કર્યો છે, કારણ કે મારું માનવું છે કે કંપની હવે તેના સંસ્થાપકોથી આગળ નિકળવા માટે તૈયાર છે. અગ્રવાલ અંગે ડોર્સીએ કહ્યું કે મને CEO તરીકે પરાગ પર વિશ્વાસ છે. છેલ્લા 10 વર્ષમાં અહીં તેમની કામગીરી શાનદાર રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગ્રવાલ IIT બોમ્બેથી ગ્રેજ્યુએટ છે. ટ્વિટરે પુષ્ટિ કરી છે કે CEO જૈક ડોર્સી તાત્કાલિક અસરથી CEO તરીકે પદ છોડી દેશે.
અમેરિકાની નામાંકિત કંપનીમાં કામ કરી ચૂક્યા છે પરાગ અગ્રવાલ:-
ટ્વિટર સાથે જોડાયા તે અગાઉ પરાગ અગ્રવાલ યાહૂ, માઈક્રોસોફ્ટ અને AT&T જેવા અગ્રણી અમેરિકાની કંપની સાથે કામ કરી ચુક્યા છે. પરાગ અગ્રવાલની નિમણૂંક ઉપરાંત ટ્વિટરે વર્ષ 2016થી કંપનીના બોર્ડ સભ્ય બ્રેટ ટેલરને તાત્કાલિક અસરથી બોર્ડના ઈન્ડિપેન્ડેટ પ્રેસિડેન્ટ બનાવવાની જાહેરાત કરી છે.