Connect Gujarat
Featured

સ્ટેચ્યુ ઑફ યુનિટી તા.‌‌‌‌૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી

સ્ટેચ્યુ ઑફ યુનિટી તા.‌‌‌‌૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે  કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી
X

કોવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રીનીઅનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય લેવાયેલ છે. આ નિર્ણયના ભાગરૂપે કેવડીયા ખાતે આવેલા મુખ્ય પ્રવાસન સ્થળો જેવાં કે જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ, વિગેરે તાજેતરમાં પ્રવાસીઓ માટે ફરી ખુલ્લાં મુકાતાં પ્રવાસીઓ તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો છે. જે જોતાં રાજ્ય સરકારે હવે પ્રવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં તે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને તા. ૧૭ ઓક્ટોબર શનિવારથી એટલે કે પહેલાં નોરતાથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. આ માટે પ્રવાસીઓની સલામતિની પૂરતી કાળજી લેવા કોવિડ-19 ગાઈડલાઈનના ચુસ્ત પાલન અંગેની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.

સોશિયલ ડિસ્ટન્સીંગની ચુસ્ત જાળવણી માટે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત રાખવાનું જરૂરી બનેલ હોવાથી દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓની મર્યાદામાં પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જે પૈકી માત્ર ૫૦૦ પ્રવાસીઓને ૧૯૩ મીટરના લેવલ પર આવેલ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટો દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટીકીટીંગ વેબસાઇટ www.soutickets.inઉપરથી મળી શકશે. પ્રવાસીઓને તેમણે જે બે કલાકના સ્લોટની ટીકીટ ખરીદેલ હોય તે જ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓને કેવડીયા ખાતે કોઈપણ ટીકીટ બારી પરથી રૂબરૂમાં ટીકીટ ઈસ્યુ કરવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે.

કોવીડ પ્રોટોકોલના ચુસ્ત પાલન અંતર્ગત દરેક પ્રવાસીએ માસ્ક પહેરેલ હોવું ફરજિયાત છે. તેમજ સ્ટેચ્યુ પરિસરમાં વ્યક્તિઓને ઉભા રહેવા માટે નિર્દિષ્ટ જગ્યાઓ ઉપર જ અનુશાસિત રીતે ઉભા રહેવાનું રહેશે. પ્રવેશ સમયે થર્મલ સ્ક્રીનીંગ અને સેનીટાઈઝેશન ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ સ્ટેચ્યુ પરિસરમાં વિવિધ સ્થળોએ પ્રવેશની જગ્યાઓ ઉપર સેનીટાઈઝર મશીનો મૂકવામાં આવેલ છે.

આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસીઓ માટેની ખાસ બસોમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગ પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.આ તમામ વ્યવસ્થા પ્રવાસીઓને કોરોના સંક્રમણથી બચાવવા માટે જ કરવામાં આવેલ છે જેમાં સહયોગ આપવા આવનાર પ્રવાસીઓને વિનંતી કરવામાં આવે છે.

* પ્રવેશ માટે કુલ 5 સ્લોટ નિર્ધારિત કરાયા છે.

સવારે - 8 થી 10,10 થી 12,12 થી 2,2 થી 4 અને 4 થી 6

પ્રત્યેક સ્લોટમાં - 500 પ્રવાસીને પ્રવેશ.એન્ટ્રી ટિકિટ - 400( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી

વ્યુઇંગ ગેલેરી - 100 પ્રવાસી

સમગ્ર દિવસમાં - 2000 એન્ટ્રી ટિકિટ( ચરણ અને મ્યુઝિયમ) પ્રવાસી અને 500 વ્યુઇંગ ગેલેરી પ્રવાસી.

Next Story