ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં સ્મશાનની છત પડતાં 18 લોકોના મોત, 24 લોકો ઘાયલ
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમા સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર ચાલતા હતા તે દરમિયાન મુરાદનગરની સ્મશાનમાં ગેલેરીની છત પડતા 18 લોકોના મોત થયાં છે જયારે 24થી વધારે લોકો ઘાયલ થયાં છે.હાલ તો ઘટના સ્થળે NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી છે પરંતુ વરસાદના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી રહી છે.
રવિવારના રોજ ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં કરૂણાંતિકા સર્જાય હતી. સ્મશાનની છત તુટી પડવાથી કાટમાળ નીચે દબાઇ જવાથી 18 લોકોના મોતના સમાચાર છે જયારે 24થી વધારે ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ઘટનામાં મૃત્યુ પામેલા 3 લોકોની ઓળખ થઈ છે. જેમના નામ યોગેન્દ્ર, બંટી અને ઓંકાર છે. આ લોકો સંગમ વિહાર અને મુરાદનગરના રહેવાસી હતા.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના આશ્રિતોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાયના આદેશ આપ્યા છે. ઘટનાને પગલે મંડલાયુક્ત મેરઠ અને એડીજી મેરઠ ઝોન પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. ગાઝિયાબાદના દયાનંદ કોલોનીના દયારામનું શનિવાર રાતે નિધન થયું હતું. રવિવારે મુરાદનગર સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટે 100થી વધુ લોકો એકત્ર થયા હતા. વરસાદ ચાલુ હતો જેના કારણે વરસાદથી બચવા માટે લોકો ગેલેરી નીચે ભેગા થયા હતા અને અચાનક તેની છત પડી હતી.