વડોદરા : કરજણ તાલુકાના ઢાઢર અને નર્મદા નદી કિનારાના પુરગ્રસ્ત ગામો માટે 2 બોટનું લોકાર્પણ કરાયું
ચોમાસાની ઋતુમાં આવતા પુર જેવા કટોકટીના સમયે લોકોને બહાર કાઢવા ખૂબ મુશ્કેલ થઈ પડતુ હોય છે. તેમજ નદી, ખાડી કિનારે રહેતા લોકો અચાનક જ પાણી વધી જતા હાલાકીમાં મુકાઈ જતાં હોય છે, ત્યારે તેવા કટોકટીના સમયે લોકોને સલામત સ્થળે લઈ જવા માટે બોટની જરૂર પડતી હોય છે. જેને ધ્યાનમાં રાખી કરજણ-શિનોર બેઠકના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય ભવાનીસિંહ પઢિયારના સહિયારા પ્રયાસોથી રૂપિયા 10 લાખના ખર્ચે 2 બોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કરજણ તાલુકાના ઢાઢર અને નર્મદા નદી કિનારાના પુરગ્રસ્ત ગામો માટે બોટની વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી, ત્યારે જે તે સમયે પુર્વ ધારાસભ્યએ બાહેંધરી આપી હતી, જેના ભાગરૂપે સરકારમાં અનેક રજૂઆતોના પગલે ગુજરાત સરકાર દ્વારા વડોદરાના કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયોજન અધિકારીએ ડીસ્ટીક મિનરલ ફાઉન્ડેનની ગ્રાંન્ટમાં પ્રારંભીક ધોરણે મશીનવાળી 2 બોટ વિવિધ ગામોના ઉપયોગ માટે ફાળવી હતી. જેનું રવિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય ભવાનીસિંહ પઢીયાર, મિતેશ પટેલ, અશોકસિંહ મોરી, મહેશ રબારી સહિત ભાજપના કાર્યકરો અને સરપંચો હાજર રહ્યા હતા. જોકે આજે ગુજરાતના વિકાસ પુરૂષ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મ દિને આ બોટની ફાળવણી કરાતાં પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.