વડોદરાઃ સાંસદ મંદિર ગયા પણ દર્શન કર્યા વગર પાછા ફર્યા, કારણ છે રસપ્રદ
છોટાઉદેપુરના સાંસદ રામસિંહ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી ગુરૂપૂર્ણિમા નિમિત્તે મંદિરે દર્શનાર્થે ગયા હતા
છોટાઉદર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામ ખાતે સુપ્રસિધ્ધ ભગવાન શ્રી રણછોડરાયનું મંદિર આવેલું છે. આ મંદિરમાં શ્રમદાન આપનારજ દર્શનનો લાભ મળે છે. શુક્રવારે ગુરૂપૂર્ણિમાના દિવસે આ મંદિરમાં છોટાઉદેપુરના ભાજપા સાંસદ અને સંખેડાના ધારાસભ્ય દર્શન કરવા માટે ગયા હતા. પરંતુ, તેઓ આ મંદિરમાં શ્રમદાન આપ્યું ન હોવાથી તેઓ દર્શન કર્યા વગર જ પરત ફર્યા હતા. આ સંદર્ભે સાંસદે જણાવ્યું હતું કે, મંદિરમાં સૌના માટે નિયમ સરખો હોય. પાલ મંદિરનાં ટ્રષ્ટિઓ દ્વારા લેવાયેલો નિર્ણય આવકાર દાયક છે. જેને અમે તોડવા માંગતા નહોતા.
પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામમાં ભગવાના શ્રી રણછોડરાયજીનું મંદિર આવેલું છે. જે પાલા ધામ તરીકે ઓળખાય છે. આદિવાસી પંથકમાં આ મંદિર લોકો માટે શ્રધ્ધાનું પ્રતિક છે. આ મંદિર ગુરૂ વિશ્વનાથ મહારાજના મંદિર તરીકે પણ પ્રસિધ્ધ છે. હાલમાં આ મંદિરનો વહીવટ શ્રી મુનિ મહારાજ સંભાળે છે. આ મંદિરમાં છેલ્લા 8 માસથી બાંધકામ ચાલી રહ્યું છે. મંદિરમાં દાતાઓ દ્વારા બાંધકામને લગતું તમામ દાન મળી રહે છે. પરંતુ, શ્રમદાન મળતું નથી. આથી મંદિરના મહારાજે શ્રમદાન માટે એક પ્રયાસ શરૂ કર્યો હતો. જે પ્રયાસને અભૂતપૂર્વ સફળતા મળી છે. મહારાજે શ્રમદાન માટે પાલા ગામ સહિત આસપાસના ગામોમાં એક પત્રિકા છપાવીને વહેંચાવી હતી.
આ પત્રિકામાં જણાવ્યું છે દરેક ગામના 12 લોકો મંડળી બનાવે અને અઢી દિવસ મંદિરમાં શ્રમદાન આપવા માટે આવે. જે મંડળીએ શ્રમદાન આપ્યું હશે તેવાના નામ નોટિસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. જે મંડળના સભ્યોના નામ નોટિસ બોર્ડ હશે તેમણેજ દેવ પોઢી અગિયારસથી ગુરૂપૂર્ણિમાં સુધીમાં મંદિરમાં દર્શન કરવાની છૂટ આપવામાં આવશે. તે સિવાય કોઇ પણ વ્યક્તિને મંદિરમાં દર્શન કરવા દેવામાં આવશે નહિં.
મંદિરના આ નિયમથી કથિત અજાણ છોટાઉદેપુરના ભાજપા સાંસદ રામસિંહ રાઠવા અને સંખેડાના ભાજપાના ધારાસભ્ય અભેસિંહ તડવી શુક્રવારે ગુરૂપૂર્ણિમા હોવાથી પાલા ધામમાં ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં તેઓએ નોટિસ બોર્ડ વાંચતા અને દર્શન કરવા માટે આવેલા લોકો તરફથી મંદિરના નિયમની જાણ થતાં તેઓ મંદિરના બહારથીજ દર્શન કરીને પરત નીકળી ગયા હતા. ગુરૂપૂર્ણિમાના દિવેસ પાલા ધામમાં મોટી સંખ્યામાં શ્રધધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
આ બાબતે સાંસદ રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, ગુરૂપૂર્ણિમાના દિવસે હું અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી પાલા ધામ દર્શન કરવા માટે ગયા હતા. મંદિરોમાં દાન કરનાર અનેક દાતાઓ મળે છે. પરંતુ, શ્રમદાન કરવા માટે કોઇ મળતું નથી. ત્યારે મંદિરના વહીવટકર્તાઓ દ્વારા બનાવેલ શ્રમદાનનો નિયમ યોગ્ય છે. અમોને મંદિરના નિયમની ખબર ન હતી. મંદિરે ગયા ત્યારે અમોને ખબર પડી હતી. અમે પણ મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો ન હતો. અને મંદિર બહારથી દર્શન કરીને નીકળી ગયા હતા.