વડોદરા : કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મકરપુરામાં સભા ગજવી, ભાજપ પર કર્યા આકરા પ્રહારો
રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષના નેતાઓ પ્રચાર અને રેલી સહિત જાહેર સભાઓ ગજવી રહ્યા છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જાહેર સભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં પક્ષના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યભરમાં તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. 19માં યોજાયેલ જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું શાસન આવશે તેવો ભરતસિંહ સોલંકીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉપરાંત ભરતસિંહ સોલંકીએ પોતાના પ્રવચનમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટી સમાજના લોકોમાં ભાગલા પાડીને સત્તા મેળવે છે. તો સાથે જ ભાજપના શાસનને અંગ્રેજોના શાસન સાથે સરખાવી મહાન વ્યક્તિઓના નામે ભાજપ વોટ મેળવતી હોવાનું પણ કહ્યું હતું. આ પ્રસગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, ભીખા રબારી સહિત વોર્ડ નં. 19ના ઉમેદવાર લાલસિંહ ઠાકોર, ધમેન્દ્ર રાજપૂત, નયના રાઠવા અને લક્ષ્મી રાજ, કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા.