વડોદરા : દશામાંની મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓ ઉપર મનપાની તવાઈ, દુકાનોના શેડ ઉતારી લેતા વેપારીઓમાં રોષ
રાજ્યભરમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ગૌરી વ્રતથી હિન્દુ તહેવારોની શરૂઆત થઇ છે, ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થા સમાન દશામાં વ્રતનો તા. 20 જુલાઇથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વડોદરા સ્થિત ન્યાય મંદિર નજીક આવેલ કલામંદિરના ખાંચામાં દશામાંની મૂર્તિઓનું વેચાણ કરવા માટે વેપારીઓએ કામ ચલાઉ શેડ બનાવ્યા છે. જોકે સાંકળી ગલી હોવાના કારણે ટ્રાફિકજામ સહિતની અન્ય સમસ્યાથી ત્રસ્ત સ્થાનીકોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી, ત્યારે કાર્યવાહી કરવા સ્થળ પર પહોંચેલી પાલિકાની ટીમ વિરુદ્ધ વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સમગ્ર વડોદરા શહેરમાં વર્ષોથી દશામાં વ્રતની શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પરંતુ, હાલના સમયે કોરોના મહામારી વચ્ચે લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. જોકે છેલ્લા 4 મહિનાથી લોકડાઉનના કારણે લોકોના ધંધા રોજગારને મોટી અસર પડી છે, ત્યારે અનલોક દરમ્યાન બજારો ફરી ધમધમતા થયા બાદ પાલિકા દ્વારા વેપારીઓના શેડ ઉતારી લેવામાં આવતા વેપારીઓને પડતા ઉપર પાટુ વાગ્યું છે. એક તરફ શહેરમાં દશામાં વ્રતની ઉજવણી માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે બીજી તરફ બજારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી. જેથી જોખમરૂપ કોરોનાનું સંક્રમણ લોકોમાં વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે.