Connect Gujarat
Featured

વડોદરા : સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીમાં ગેંગસ્ટર અજજુ કાણીયાની હત્યા

વડોદરા : સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારીમાં ગેંગસ્ટર અજજુ કાણીયાની હત્યા
X

વડોદરા સેન્ટ્રલ જેલમાં ગેંગસ્ટર અજજુ કાણીયા અને સાહિલ પરમાર વચ્ચે થયેલી મારામારીમાં અજજુ કાણીયાની હત્યા કરી નાંખવામાં આવી છે. બંને કેદીઓ વચ્ચેની મારામારી દરમિયાન એક કેદી તથા જેલ સ્ટાફને પણ ઇજા પહોંચી હોવાની વિગતો સપાટી પર આવી છે….

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ખંડણી ઉઘરાવતો અજજુ કાણીયો કોઇ ગુનામાં સેન્ટ્રલ જેલમાં કેદ હતો. પાણીગેટ વિસ્તારમાં 2018માં થયેલા ખુન કેસનો આરોપી સુનિલ ઉર્ફે સાહિલ પરમાર પણ જેલમાં કેદ છે. સાહિલ અને અજજુ વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલાં સાહીલે જમીન પર પડેલો પતરાનો ટુકડો અજજુને ગળાના ભાગમાં મારી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલાં અજજુને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પણ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ઘટનાની જાણ થતાં અજજુ કાણીયાના પરિવારજનો અને પંટરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં અને હોબાળો મચાવ્યો હતો. વડોદરાના એસીપી મેઘા તેવારે જણાવ્યું હતું કે, અજજુ અને સાહિલ વચ્ચે બોલાચાલી થઇ હતી જેમાં અજજુને ગળાના ભાગે પતરાનો ઉંડો ઘા વાગી જતાં મોત થયું છે. બનાવ અંગે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં મોહસીન નામના એક કેદીને પણ ઇજા થતાં તેને સારવાર આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલાં વડોદરામાં ગેગસ્ટર મુકેશ હરજાણીની તેના જ સાગરિતોએ ગોળી મારી હત્યા કરી નાંખી હતી. આ અગાઉ પણ સાબરમતી જેલમાં હત્યાનો બનાવ બની ચુકયો છે જેમાં ગોવા રબારીના સાગરિતોએ ચેતન બેટરીની જેલમાં જ હત્યા કરી નાંખી હતી. વર્ષો બાદ જેલમાં હત્યાનો બનાવ વડોદરા ખાતે બન્યો છે.

Next Story