વડોદરા : કરનાળીના કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા રાહત ફંડમાં રૂ. 16 લાખનું યોગદાન, વડોદરા જિલ્લા કલેકટરને ચેક સુપ્રત કરાયો
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિરના કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ તરફથી તાજેતરમાં પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 8 લાખ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 8 લાખ મળી કુલ રૂપિયા 16 લાખના અનુદાનના 2 ચેક વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલને ટ્રસ્ટ વતી સેક્રેટરી નિરંજન વૈધે સુપ્રત કર્યા હતા.
આ અંગે કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના પ્રમુખ અરુણ પંડિત અને સેક્રેટરી નિરંજન વૈધે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં લોક ડાઉનની શરૂઆત થઈ ત્યારથી જ ગરીબ પરિવારજનોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવી રહી છે. તેમજ મંદિર તરફથી કરનાળી અને આજુબાજુના ગામો ખાતે ફરજ બજાવતા પોલીસ જવાનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કરનાળી કુબેરભંડારી ધામ સામાજિક હિતના કાર્યોમાં સદા અગ્રેસર રહ્યું છે. લોક કલ્યાણ અને રાષ્ટ્ર હિત માટે યોગદાન અર્પણ કરતા કુબેર દાદા સર્વની કોરોનાની મહામારીથી રક્ષા કરે તેવી પ્રાર્થના કરીએ છીએ. કોરોના જેને એક વૈશ્વિક મહામારીનું કુરૂપ ધારણ કર્યું છે, તેની સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની લડતની રણનીતિના આયોજનમાં બળ મળે તે હેતુથી જન કલ્યાણના હિતમાં પ્રધાનમંત્રી રાહત ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂપિયા 16 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે.