વડોદરા: વિશ્વ યોગ દિવસની ઉજવણી,મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રહ્યા ઉપસ્થિત
યોગ અભ્યાસને લોક જીવનની દૈનિક આદત બનાવવા ગુજરાત સરકાર સંકલ્પબધ્ધ છે તેવી લાગણી વ્યક્ત કરતા મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે રાજ્ય યોગ બોર્ડ સંખ્યાબંધ શિબિરો યોજીને કવોલિફાઇડ યોગ શિક્ષકોનું ઘડતર કરે છે. તેમના માધ્યમથી યોગને જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્રિવેદીએ ૮ માં વિશ્વ યોગ દિવસે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મહાનુભાવો અને લોકો સાથે યોગ સાધના કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના અથાક પ્રયત્નો થી વિશ્વ રાષ્ટ્ર સંઘે ભારતના યોગને ૨૧ મી જુનનો દિવસ સમર્પિત કર્યો તે પછી તેનો વ્યાપ ઝડપથી વિસ્તરી રહ્યો છે. યોગ માટે રોજ સમય ફાળવો, યોગ તમને નિરોગી રાખશે એવો ખાસ અનુરોધ તેમણે કર્યો હતો.
આ સ્થળે તેમની સાથે યોગ સાધનામાં સાંસદ રંજનબેન,મેયરશ્રી કેયુર રોકડિયા,નાયબ મેયર નંદા જોશી, મ્યુનિસીપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડો.વિજય શાહ,નગર સેવકો,પદાધિકારીઓને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના યોગ નિપુણ અલ્પા ઠક્કરે યોગ કરાવ્યા હતા.
ત્રિવેદીએ યોગને મહાદેવનું વરદાન ગણાવતા યોગ સંસ્કૃતિના વિકાસમાં મહર્ષિ પતંજલિ અને ઋષિ મુનિઓ ના યોગદાનની જાણકારી આપી હતી. તેમણે યોગને લોક પ્રચલિત કરવામાં બાબા રામદેવના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની અખૂટ ઊર્જાનો સ્ત્રોત યોગ છે.સમગ્ર વિશ્વ યોગમય બને વિશ્વ શાંતિ સાકાર થાય એવી તેમણે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીના યોગ દિવસ સંદેશનું તથા પ્રધાનમંત્રીનેની ઉપસ્થિતિમાં મયસોર ખાતે યોજાયેલા દેશના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.