Connect Gujarat
Featured

વલસાડ : કપરાડા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

વલસાડ : કપરાડા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ
X

આદિવાસી સમાજના ભવ્‍ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્‍કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજ્જવળ પરંપરા અને અસ્‍તિત્‍વને ટકાવી રાખવાના પ્રયાસના ભાગરૂપે પ્રતિવર્ષ ૯મી ઓગસ્‍ટના દિવસને આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ તરીકે સંયુક્‍ત રાષ્‍ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવ્‍યો છે. જેની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરૂણોદય હાઇસ્‍કૂલ ખાતે રાજયના સહકાર, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્‍ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, પારડીના ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇ તથા કપરાડાના માજી ધારાસભ્‍યશ્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમના શુભારંભ આદિવાસીઓના કૂળદેવી અને દેવીદેવતાઓને પુષ્‍પ અર્પણ સાથે દીપપ્રાગટય થકી કરવામાં આવ્‍યો હતો. આ અવસરે રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઓનલાઇન સંબોધન કરી આંતરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ અવસરે મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્‍યું હતુ કે, આદિવાસીઓને ભૌતિક સુવિધા રાજય સરકારે પુરી પાડી છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ વનબંધુ યોજના અમલમાં મુકી રસ્‍તા, પાણી, વીજળી, આરોગ્‍ય જેવી અનેક સુવિધાઓ પુરી પાડી છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ અનેક સવલતો આપી છે. પેસા એકટનો કાયદો રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અમલવારી કરાવી આદિવાસીઓના હક્કો આપવાનું કાર્ય કર્યુ છે. વન અધિકાર ધારા હેઠળ જંગલની જમીન ખેડતા આદિવાસીઓને જમીન પણ ફાળવી છે.

આ અવસરે પારડી ધારાસભ્‍ય કનુભાઇ દેસાઇ અને પૂર્વ ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની શુભકામના પાઠવી હતી. આ અવસરે એસ.એસ.સી/ એચ.એસ.સીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓ, ખેલાડીઓ, પ્રગતિશીલ ખેડૂતો, દુધ ઉત્‍પાદકોનું સન્‍માન અને ગારમેન્‍ટ તાલીમના લાભાર્થીઓ તેમજ વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અન્‍વયે અધિકારપત્રો આપવામાં આવ્‍યા હતા. આ અવસરે આદિજાતિઓના વિકાસ યોજના અંગેની ઝાંખી દર્શાવતી સી.ડી.નું નિદર્શન કરાયું હતું. શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્‍વાગતગીત રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સંચાલન હુંડાના સી.આર.સી. હરેશ એલ. પટેલે અને આભારવિધિ જી.આર.એસ. સ્‍કૂલ સુથારપાડાના આચાર્ય પ્રવિણભાઇ ભોયાએ કરી હતી.

આ અવસરે જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ ગુલાબ રાઉત, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ, પ્રાંત અધિકારી વી.સી.બાગુલ, મામલતદાર કે.એસ. સુવેરા સહિત જિલ્લા તાલુકા પંચાયત સદસ્‍યો, આદિવાસી અગ્રણીઓ, કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારના આદિવાસી ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.

Next Story