ખેડૂત આંદોલનને લઇને કૃષિમંત્રીનું નિવેદન, “દૂધ-શાકભાજી ફેંકવી એ કૉંગ્રેસનો પ્રોગ્રામ”
- કૃષિમંત્રી આર.સી.ફળદુએ કૉંગ્રેસ પર પ્રહાર
- સરકાર કૃષિ અધિનિયમ ૨૦૦૭ અમલી બનાવશે
ખેડૂત આંદોલનને લઇને કૃષિમંત્રીનું નિવેદન, “દૂધ-શાકભાજી ફેંકવી એ કૉંગ્રેસનો પ્રોગ્રામ” સરકારની ખેડૂત વિરોધી નીતિ અને શાકભાજીનાં ઓછા ભાવને કારણે ગુજરાતનાં ખેડૂતોમાં રોષની લાગણી છે. સાથે જ ખેડૂતોએ શાકભાજી રોડ પર ફેંકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારે ખેડૂતોનાં પ્રશ્નોને લઇને કૃષિમંત્રી આર.સી.ફળદુએ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા છે.
કૃષિમંત્રીએ કહ્યું કે, “ખેડૂત આંદોલનમાં દૂધ અને શાકભાજી ફેંકવી એ કૉંગ્રેસનો પ્રોગ્રામ છે. કૉંગ્રેસે આવા આંદોલનો પંજાબ અને કર્ણાટકમાં કરવા જોઇએ.” આર.સી.ફળદુએ કહ્યું કે, “પંજાબમાં દૂધનાં ભાવ ગુજરાત કરતા પણ ઓછા છે. ગુજરાતમાં ખેડૂતોને શાકભાજીનાં ભાવ સારા મળી રહ્યા છે.” કૃષિમંત્રીએ કૃષિ અધિનિયમ ૨૦૦૭ અમલી બનાવવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, “સરકાર કૃષિ અધિનિયમ ૨૦૦૭ અમલી બનાવશે અને ખેડૂતો પોતાનો પાક પોતાના ભાવે વેચી શકશે.”
સાબરકાંઠામાં ખેડૂતે દવા પીને કરેલી આત્મહત્યાને મામલે કૃષિમંત્રીએ કહ્યું કે, “ખેડૂત જ નહી પરંતુ કોઇપણ આત્મહત્યા કરે તે દુ:ખદ છે.” તેમણે સાબારકાંઠાનાં ખેડૂતે કરેલી આત્મહત્યા વિશે પોતાની પાસે કોઇ જ વિગત ના હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે પ્રશ્ન એ છે કે કૃષિમંત્રી ખેડૂતોનાં પ્રશ્નોથી કેટલા વાકેફ છે? શું સરકાર ખેડૂતોનો અવાજ સાંભળશે કે પછી મીઠા વચનો જ આપશે?