Connect Gujarat
ગુજરાત

ગુજરાતની સૌપ્રથમ જગન્નાથજીની રથયાત્રા ૨૫૦ વર્ષ પહેલા ભરૂચમાંથી નીકળી હતી

ગુજરાતની સૌપ્રથમ જગન્નાથજીની રથયાત્રા ૨૫૦ વર્ષ પહેલા ભરૂચમાંથી નીકળી હતી
X

ગુજરાત રાજયમાં ઉત્સાહ અને શ્રદ્ધાના પ્રતિક સમી રથયાત્રાની પ્રથમ શરૂઆત ૨૫૦ વર્ષ પહેલા સૌપ્રથમ ભરૂચમાં ફૂરજા બંદરેથી કરાઈ હોવાનું મનાય છે. ભરૂચમાં ૧૭મી સદીમાં નર્મદાના પવિત્ર કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથજીનાં મંદિરનું નિર્માણ કરાયું હતું. મંદિરની સ્થાપના અંગે ભોઈ જ્ઞાતીના અતિ વયોવૃધ્ધો પાસેથી મળતી માહિતી મુજબ, ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજુરી તથા અન્ય કામ કરતા હતા. અહી વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો.

અમદાવાદની યાત્રા માટે ભરૂચનાં ખલાસીઓએ રથ બનાવ્યા હતા.દેશ–વિદેશ ના મોટા મોટા વાહનો અહી લાંગરતા હતા. ફુરજા બંદરે ભોઈ લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જયાં જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા. ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજુરો તથા વેપારીઓ ભરૂચ આવતા હતા. તેઓના સંપર્ક માં ભોઈ સમાજનાં લોકો પણ આવ્યા. શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે, આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું જેથી સવારે અહીં દર્શન કર્યા બાદ લોકો પોતાના કામે લાગી જાય.

ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના લોકોએ અહી મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ ( માટી) ઉચા પ્રકારનો હતો. અહી નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડા (રેસા) ના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી. ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા તૈયાર થઇ અને પછી ત્યાં મંદિર બનાવવા માં આવ્યું ત્યારથી ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.

સમસ્ત ભોઇ સમાજના ઉપપ્રમુખ શાંતિલાલ જાદવે એક મુલાકાત દરમિયાન જણાવ્યું કે જગન્નાથજીના નવા મંદિરનું બાંધકામ શરૂ કરાયું છે.જગન્નાથજીની વર્ષો જૂની મોટી પ્રતિમાઓનું ગત વર્ષે જ વિસર્જન કરાયું છે. નવી પ્રતિમાઓ જગન્નાથપુરી ઓરીસ્સાથી તૈયાર થઇ આવશે. ફૂરજા સ્થિત જગન્નાથજીનું સદીઓ જૂનુ મંદિર જર્જરીત થઇ જતા નવા મંદિરનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ થયું છે. ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા નીકળતી રથયાત્રા ગુજરાતમાં સૌથી જૂની છે બીજા શબ્દોમાં કહ્યે તો જગન્નાથ પુરી બાદ ભરૂચમાં રથયાત્રાનો પ્રારંભ થયો હતો.

* રથ ખેંચવાની જવાબદારી ખલાસીઓ નિભાવે છે

જગન્નાથજીના ભકતોમાં ભરૂચની એક ખલાસી માતાએ 1878 માં અમદાવાદના તત્કાલિન મંહતને વિનંતી કરી હતી કે, રથયાત્રાના દિવસે ભરૂચના ખલાસીઓ દ્વારા બનાવવામાં આવેલા ત્રણેય રથ ખેંચવાની સેવા અમારા ખલાસી પુત્રોને સોંપો. રથ ખેંચવાની સેવા અમને સોંપી કૃતાર્થ કરવા કરાયેલી વિનંતી મહંતે માન્ય રાખી હતી. ત્યારથી જ અમદાવાદ સહિ‌તની દેશમાં નીકળતી તમામ રથયાત્રામા આજદિન સુધી ભગવાનના રથ ખેંચવાની જવાબદારી ખલાસી ભાઇઓ નિભાવે છે.

* મહંત નહસિંહદાસજીને ૧૮૭૮ માં રથ ભેટ ધર્યા હતા

અમદાવાદમાં ૧૮૭૮ માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે આ વાતની જાણ થતા ભરૂચના ખલાસી ભાઈઓએ ૧૩૮ વર્ષ પહેલા નીકળેલી સૌપ્રથમ રથયાત્રા માટે નાળીયેરના લાકડા માંથી ત્રણ સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજીને ભેટ ધર્યા હતાં. ભરૂચનાં ખલાસીઓએ બનાવેલા રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી.

Next Story