નવસારી : યુવાવર્ગમાં ગાંધીજીના જીવન મૂલ્યોને જીવંત રાખવા યુવાનોએ સાબરમતી આશ્રમથી યોજી “સાયકલ યાત્રા”
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 151મી જન્મ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લાના નમક સત્યાગ્રહના સાક્ષી એવા દાંડી ખાતે પણ કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીજીએ જે રીતે અંગ્રેજી હકુમતમાં અહિંસક રીતે લડીને સેંધ લગાડવા માટે દાંડીની પદયાત્રા કરી હતી. તે રીતે આજની 21મી સદીમાં પણ યુવાવર્ગમાં ગાંધીજીના જીવન મૂલ્યો અને તેમનો સંદેશો જીવંત રહે તે માટે અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમથી સાયકલ યાત્રા કરીને 32 જેટલા યુવાનો નવસારીના દાંડી ખાતે પહોંચ્યા હતા. યુવાઓ માટે આ સાયકલ યાત્રા ગાંધી જયંતીની ઉજવણી સહિત દેશના લોકો માટે તંદુરસ્ત રહેવાની પણ અપીલ હતી.
હાલમાં દેશમાં સ્વાસ્થ્યને લઈને જાગૃતિ આવી રહી છે, ત્યારે નમક સત્યાગ્રહથી જાણીતા થયેલા દાંડીમાં અમદાવાદના યુવાનોની સાયકલ યાત્રા પૂર્ણ થઈ હતી. હાલમાં જ 2019માં નિર્માણ પામેલા નેશનલ સોલ્ટ મેમોરિયલ ટુરીઝમ ક્ષેત્રે લોકોને આકર્ષી રહ્યું છે, ત્યારે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ગાંધી વિચારધારા ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ગાંધીજીના સંદેશા જન-જન સુધી પહોંચાડવા અમદાવાદના સાકલીસ્ટ ગ્રુપના સભ્યોએ દાંડી ખાતે પહોંચીને પોતાની યાત્રા પૂર્ણ કરી હતી.