પૂર્વોત્તરનાં રાજ્યોમાં આગળ વધતું ચોમાસું, પુરનાં કારણે 23 લોકોનાં મોત
આસામમાં અંદાજે 6 જિલ્લામાં 4.50 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા
ઉત્તર અને પૂર્વોત્તર રાજ્યો તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં વરસાદ થયો છે. હવામાં ભેજ હોવાના કારણે દિલ્હીમાં પણ લોકોને ગરમીથી રાહત મળી છે. બીજી બાજુ આસામમાં ભારે વરસાદને પગલે આવેલા પૂરના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈછે. અંદાજે 6 જિલ્લામાં સાડા ચાર લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
હરિયાણાના અંબાલામાં પૂરના કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. રવિવારના દિવસે પૂરના કારણે પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે હાજર રહી બચાવ કામગીરી કરી રહી છે. પંજાબ અને હરિયાણામાં વરસાદ પછી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તો ચંદીગઢમાં પણ આજે સવારે વરસાદ પડ્યો છે. હિમાચલ પ્રદેશમાં અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે. શિમલા અને તેની આજુ-બાજુના વિસ્તારોમાં પણ થોડો વરસાદ નોંધાયો છે.