ભરૂચ : અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણર્થે સ્વામિનારાયણ ગુડવિલ શાળા ખાતે VHP દ્વારા બેઠકનું આયોજન કરાયું
અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણ અંગે સમગ્ર હિન્દુ સમાજને જોડવાના વિશિષ્ટ પ્રયાસે ભરૂચ શહેરની સ્વામિનારાયણ ગુડવિલ શાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શિલાન્યાસ બાદ હવે ભવ્યાતિભવ્ય રામ મંદિરના નિર્માણ અને સાથે શ્રીરામ જન્મભૂમિના સમગ્ર 70 એકર જમીનને અત્યંત રમણીય અને સાંસ્કૃતિક વારસા અનુરૂપ જીર્ણોદ્ધારનું કાર્ય પ્રગતિ પર છે, ત્યારે આ કાર્યમાં હિન્દુ સમાજનો સહયોગ લઈ એક જન જાગરણ કાર્યક્રમ સમગ્ર ભારત વર્ષમાં થવા જઈ રહ્યો છે. તે સંદર્ભે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના માર્ગદર્શન અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ શહેર શક્તિનાથ ઉપનગરની એક બેઠકનું આયોજન સ્વામિનારાયણ ગુડવિલ શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ નગર સંઘ ચાલક હરિહર ભટ્ટ, હિન્દુ જાગરણ મંચના મુક્તાનંદ સ્વામી, વિમલ શાહ, સ્વામિનારાયણ ગુડવિલ શાળાના પ્રમુખ અને ધર્મગુરુ ડી.કે.સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદના નગર સંયોજક સંદીપ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં રામભક્તો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.