શિક્ષકો અને વાલીઓ માટે આ ત્રણ પુસ્તકો દીવાદાંડી સમાન
પુરા પાંચસો નહિ, એમાં પિસ્તાલીસ ઓછા. એટલે કે ચારસો પંચાવન રૂપિયામાં ત્રણ પુસ્તકો મહેન્દ્ર પી શાહ, બાલવિનોદ પ્રસાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા. ત્રણેય પુસ્તકના સંકલનકર્તા ડો.મહેશ ઠાકર. ભરૂચની નારાયણ વિદ્યાવિહારના આચાર્ય કે જેઓને આજસુધી શ્રેષ્ઠ શિક્ષક,આગવી સુઝ ધરાવતા આચાર્ય, શૈક્ષણિક સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને શિબિરોનું અનોખી રીતે આયોજન કરતા સૌએ જોયા, માણ્યા અને બિરદાવ્યા છે. એમણે શિક્ષકોને લખતા કરવાનું બીડુ ઝડપ્યું અને એકસાથે ત્રણ પુસ્તકો શિક્ષણ જગત માટે આશીર્વાદ રૂપે પ્રસિદ્ધ થયા.
કોરોના મહામારીના કારણે આ ત્રણેય પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ સિમિત સુજ્ઞજનોની વચ્ચે નારાયણ વિદ્યાવિહારના પ્રાર્થના હોલમાં તારીખ ૫મી જુલાઈ ૨૦૨૧ સવારે ૧૦ કલાકે યોજાયો હતો.
ઘડિયાળના કાંટે ચાલતા સૌને માસ્ટર ઓફ સેરેમની પ્રતિમાબહેન પટેલે સુંદર રીતે જકડી રાખ્યા. એક દીવીમાં સાત દિવેટ મૂકી સૌને પગરખા કઢાવી દીપ પ્રાગટય કરાવવાના બદલે દરેક મહાનુભાવના સામે ટેબલ પર દીવી મૂકી કઈપણ દોડધામ કર્યા વગર મંત્રોચ્ચાર વચ્ચે દીપપ્રાગટય પૂર્ણ થયું. વિમોચન પણ એજ રીતે અને હોલમાં ઉપસ્થિત સૌની જગ્યાએ ત્રણ પુસ્તકોનો સંપુટ આપવામાં આવ્યો.
પહેલું પુસ્તક : હું શિક્ષક બન્યો... કારણ કે... શાળાના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી જે.ડી. પંચાલને અર્પણ કરવામાં આવ્યું. પુસ્તક પ્રતિભાવ શિક્ષક રમેશભાઈ મકવાણાએ આપતા જણાવ્યું કે શિક્ષક એટલે માનવતા, સંવેદના અને કરુણાની જીવતી જાગતી ઈશ્વરની વિશેષ પ્રીતિપાત્ર પ્રતિકૃતિ. પોતાના કર્મ અને તેની કર્મયોગી તરીકેની છબિને સતત ઉજાગર રાખવા પ્રયત્નશીલ છે. નારાયણ વિદ્યાવિહારના શિક્ષકોએ તેમના અંતરમાં દ્રષ્ટિપાત કરીને વધુ ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
બીજું પુસ્તક : કેળવણીમાં વાલી - એક ચિંતન અર્પણ : જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ શ્રી નવનીતભાઈ મહેતા (હાલ વડોદરાના શિક્ષણધિકારીનો ચાર્જ પણ સંભાળે છે.) એમણે શિક્ષણ જગતને એક સાથે ત્રણ પુસ્તકોની ભેટ મળી એ માટે મુક્તકંઠે ડો.મહેશભાઈ ઠાકરની પ્રશંસા કરી તેમજ લેખક તરીકે આપની પ્રતિભા વધુ ઉજ્જવળ બને અને શિક્ષણજગતને દિશાચિંધ્યા કરો એવી શુભભાવના વ્યક્ત કરી. ભાવિકાબહેન ગોહિલે પુસ્તકના બેક ટાઈટલ પર કેળવણી જીવનને કેળવવાની સાધના અથવા કળા છે.
ત્રીજું પુસ્તક : સ્લોપ બીજી હરોળનું વાલીપણું... શિક્ષક. અંગ્રેજીમાં સેકન્ડ લાઈન ઓફ પેરન્ટીંગ. અર્પણ : પરમ પૂજય મહંત સ્વામી મહારાજને. જોલવા ખાતે આવેલી ભાસ્કર એકેડેમીના આચાર્ય પ્રતિમા પટેલે પ્રતિભાવ આપ્યો. કોર્પોરેટ ટ્રેનર પરેશ ભટ્ટે શિક્ષણ સમાજને આવનારા પડકારો સામે જાગૃત કરી ભાવિની ઝાંખી કરાવવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. ત્રણેય પુસ્તકના મુખ્ય વિક્રેતા નવભારત સાહિત્ય મંદિર છે.
ચેનલ નર્મદાના ડાયરેક્ટર શ્રી નરેશભાઈ ઠક્કરે અન્ય વકતાઓને સાંભળવાનો લ્હાવો સૌને મળી રહે એ માટે પોતાનું વકતવ્ય ટુંકાવતા શ્રી મહેશભાઈ ઠાકર એક લેખક તરીકે આપણને સૌને મળ્યા એનો અનેરો આનંદ છે. એમ કહી એમને બિરદાવ્યા હતા.
ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું કે કોરોનાની મહામારીમાં પોઝીટીવ થીંકીંગ કરનારા અને તેમાંથી શિક્ષણજગતને મહામુલી ભેટ આપનારા શ્રી મહેશભાઈ ઠાકરને લાખ લાખ અભિનંદન. આ પુસ્તકો શિક્ષકો માટે દીવાદાંડી બની રહેશે.
શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિને ત્રિવેણી સંગમ જ્યાં થતો હોય ત્યાં ઉપસ્થિત રહેવાનું ક્યારેય ચૂકતો નથી એમ લોકભારતના રાષ્ટ્રીય આધ્યક્ષ શ્રી બળવંતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
સિન્ડીકેટ સભ્ય શ્રી વિમલભાઈ શાહે મહેશભાઈ ઠાકરને જયારે પણ મળીએ કંઈક નવી પ્રેરણા મળે એમ જણાવી અભિનંદન આપ્યા હતા.
આ ત્રણેય પુસ્તકો શિક્ષક અને વાલી પુસ્તક ખરીદીને વાંચે એવી માં સરસ્વતી કૃપા વરસાવશે એજ પ્રાર્થના.