અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પરથી રૂ. 27 લાખ સાથે દાહોદનો વેપારી ઝડપાયો, રેલ્વે પોલીસે IT વિભાગને જાણ કરી...
એક ઇસમની શંકાસ્પદ હિલચાલથી અંકલેશ્વર રેલ્વે પોલીસે તેને ઊભો રાખી તલાશી લેતાં તેના બેગમાંથી રોકડ રકમ રૂ. 27 લાખ મળી આવ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રેલ્વે પોલીસે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પરથી રૂ. 27 લાખની રોકડ રકમ સાથે એક ઈસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, હરિદ્વાર-વલસાડ એક્સપ્રેસ ટ્રેનમાંથી અંક્લેશ્વર સ્ટેશન પર એક બેગ સાથે ઉતરતા એક ઇસમની શંકાસ્પદ હિલચાલથી અંકલેશ્વર રેલ્વે પોલીસે તેને ઊભો રાખી તલાશી લેતાં તેના બેગમાંથી રોકડ રકમ રૂ. 27 લાખ મળી આવ્યા હતા.
તેની પૂછતાછ કરતા તે મૂળ દાહોદના યોગેશ ટેકચંદ પ્રીતમાણી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ તે સોપારીનો વેપારી હોવાનું અને અંકલેશ્વરમાં કોઈ વેપારીને પૈસા આપવા આવ્યો હોવાનું પણ જણાયું હતું. સમગ્ર મામલે રેલ્વે પોલીસે 41 (1) ડી મુજબ યોગેશ પ્રીતમાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે, આ અંગે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ જાણ કરવામાં આવી છે. તો બીજી તરફ, આગળની તપાસ અંકલેશ્વર રેલ્વે PSI જે.બી.મીઠાપર ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની આચાર સંહિતાનો અમલ ચાલી રહ્યો છે, ત્યારે આટલી મોટી રકમ રોકડ સ્વરૂપે મળી આવતા પોલીસની તપાસમાં શું બહાર આવે છે તે હવે જોવું રહ્યું...