ઉરીમાં આતંકવાદી હુમલામાં જવાનોના શહીદ થયાની ઘટના બાદ ભારતે આડકતરી રીતે પાકિસ્તાન સાથેની 56 વર્ષ જૂની સિંધુ જળ સંધિ ચાલુ રાખવા પર પ્રશ્નાર્થ મૂકી દીધો હતો. ભારતના આ વલણથી પાકિસ્તાનના મીડિયામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે પાણી શાંતિનો સ્ત્રોત હોવો જોઇએ. ટકરાવનો નહી. તેના જવાબમાં ભારતે જણાવ્યું હતું કે આવી કોઇપણ સંધિ માટે બે દેશો વચ્ચે વિશ્વાસ અને સહયોગ હોવા જરૂરી છે. જે એકતરફી ના હોઇ શકે.

અગાઉ પણ ઘણીવાર ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા સિંધુ સંધિ સમાપ્ત કરવા માટે માંગ ઉઠી હતી.

ઉલ્લેખનીય છે કે 1960માં વિશ્વ બેંકની મધ્યસ્થતાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધ જળ સંધિ કરવામાં આવી હતી. જેના પર ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયૂબ ખાને સહી કરી હતી.