સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને આગલા બે દિવસ માટે તમિલનાડુને 6000 ક્યુસેક પાણી આપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી બુધવારે હાથ ધરવામાં આવશે. તે સાથે સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને તેના આદેશને ન માનવા બદલ ચેતવણી પણ ઉચ્ચારી હતી.

અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કર્ણાટક સરકારે તમિલનાડુને પાણી આપવા માટે અસમર્થ હોવાનું જણાવ્યું હતું.

કર્ણાટકે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે તેના જળાશયોમાં પર્યાપ્ત પાણી નથી. તેથી, સુપ્રીમ કોર્ટના આદેશમાં ફેરફાર થવો જોઇએ.

જ્યારે તમિલનાડુ સરકારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે કર્ણાટક સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરીને બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક સરકારે પ્રતિદિન કાવેરી નદીનું 6 હજાર ક્યુસેક પાણી તમિલનાડુને આપવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યુ નહોતું.