ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું છે. 11 ઓગસ્ટ 1954માં પંજાબના લુધિયાણામાં જન્મેલા યશપાલ શર્માએ 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. યશપાલ શર્મા ટીમ ઇન્ડિયાના પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે યશપાલ શર્મા 1983માં વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય પણ હતા.
યશપાલ શર્મા આજે સવારે મોર્નિંગ વોક પર ગયા હતા. મોર્નિંગ વોકથી પાછા ફર્યા પછી, તેમણે ઘરે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સવારે 7.40 વાગ્યે હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું મોત નીપજ્યું હતું. તેમના પછી પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે.
યશપાલ શર્મા ભારતીય ક્રિકેટ ટીમના એક તેજસ્વી ખેલાડી હતા. તેઑ તેમની સંવેદના માટે જાણીતા છે. 1983ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં તેમની અર્ધસદીની ઇનિંગ્સને ક્રિકેટ ચાહકો હંમેશા યાદ રાખશે. તેમણે ટીમ ઈન્ડિયા તરફથી ટેસ્ટ અને વનડે બંને રમી છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે 37 ટેસ્ટ મેચ રમી છે. તેમણે 1606 રન બનાવ્યા છે. આ સાથે બે સદી અને 9 અડધી સદી પણ તેમના નામે રહી છે. તેમનો ટેસ્ટ મેચમાં સૌથી વધુ સ્કોર 140 રન છે.
આ સિવાય તેમણે ટીમ ઈન્ડિયા તરફથી 42 વનડે મેચ પણ રમી છે. યશપાલ શર્માએ વનડેમાં કુલ 883 રન બનાવ્યા છે. આ સાથે યશપાલ શર્માએ વનડે ક્રિકેટમાં 4 અર્ધસદી પણ રમી છે. યશપાલ શર્મા વન ડેમાં કોઈ સદી ફટકારી શક્યા નહીં. વન ડે ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 89 રન છે.
યશપાલ શર્માએ 2 ઓગસ્ટ 1979ના રોજ લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેમણે 29 ઓક્ટોબર 1983ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ ઉપરાંત તેમણે 13 ઓક્ટોબર 1978ના રોજ પાકિસ્તાન સામે વનડે ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લી વનડે મેચ 27 જાન્યુઆરી 1985ના રોજ ઇંગ્લેન્ડ સામે રમી હતી.
