ભરૂચના ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ BTP માંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈના જનતા કા રાજ સંગઠનની દાદાગીરી સામે મુખ્યમંત્રીને પત્ર લખવાનો વારો આવ્યો છે.ઝઘડિયાના ઉમલ્લાના વેપારી મુકેશ શાહ અને તેમના પરિવાર પર થયેલા હુમલા બાદ પોલીસની ઢીલી કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આ ઘટનામાં રાયસીંગપુરાના સરપંચના પુત્ર શનાભાઈ વસાવા અને તેમના સાથીઓએ વેપારીને લાકડીના સપાટાથી માર માર્યો હોવાનો આરોપ છે.
આ મામલે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં, રાજકીય દબાણ હેઠળ સામાન્ય ફરિયાદ દાખલ કરીને સંતોષ માનવામાં આવ્યો હોવાનું વેપારી પરિવાર સાથે સાંસદે પત્રમાં મુખ્યમંત્રીને જણાવ્યું છે.ફ્રીઝની લેવડદેવડ બાબતે થયેલા ઝઘડામાં શનાભાઈ વસાવા, જે પ્રકાશ દેસાઈના ડ્રાઈવર તરીકે ઓળખાય છે, તેણે પોતાના સાથીઓ સાથે મળીને મુકેશ શાહની દુકાને જઈને હુમલો કર્યો હતો. આ ઘટના બાદ વેપારીઓએ તાત્કાલિક ઉમલ્લા પી.આઈ.ને જાણ કરી. જોકે, બીજા દિવસે પાંચથી છ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા બાદ માત્ર સામાન્ય ફરિયાદ નોંધીને કેસને ટાળવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે.
રાજકીય પીઠબળને કારણે આ સંગઠન સામે કોઈ કડક કાર્યવાહી થઈ શકી નથી તેવી ચર્ચા અને સાંસદ મનસુખ વસાવાએ પણ હૈયા વરાળ કાઢી છે.
વેપારીઓએ આ મામલે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાને પણ રજૂઆત કરી હતી, પરંતુ તેમના તરફથી પણ કોઈ મદદ ન મળતા તેઓ નિરાશ થયા છે. આખરે, મુકેશ શાહ અને તેમના પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવીને રક્ષણની માંગણી કરી છે. તેમણે શનાભાઈ વસાવા જેવા માથાભારે તત્ત્વો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાય અને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે. જેથી ભયમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત સરકારના શાસનમાં વેપારીઓ સુરક્ષિત રહી શકે.