• ભરૂચના ઝઘડિયાનો ચકચારી દુષ્કર્મ કેસ

  • ધારાસભ્ય ચૈતર વસાવા મળ્યા બાળકીના પરિવારજનોને

  • ભરૂચ પોલીસને કરી રજુઆત

  • નરાધમને ફાંસીની સજાની માંગ કરાય

  • ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાના આક્ષેપ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે બનેલ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી નરાધમને ફાંસીની સજા મળે તેવા પ્રયાસો કરવા માંગ કરી હતી.

ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી.આ મામલામાં હાલ બાળ બાળકી વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડોદરા ખાતે બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ બાદ તેઓએ ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પહોંચી ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ચૈતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજેરોજ આવી ઘટનાઓ ઘટી રહી છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 648 નાબાલિક દીકરીઓ પીંખાઇ ગઈ છે. અમારો સવાલ છે કે આટલી બધી ઘટનાઓ ઘટે હવે બાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી? અમારી માંગ છે કે આવા કેસો માટે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે.