• અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો 

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.