ભરૂચ: આમોદ નગરપાલિકા કચેરી બહાર જ રખડતા પશુઓનો અડિંગો, રખડતા ઢોરનો ત્રાસ ક્યારે થશે દૂર?
આમોદ નગરપાલિકાની બેદરકારીના કારણે નગરજનો જીવના જોખમમાં મુકાયા છે નગરપાલિકા કચેરીના મ્પાઉન્ડમાં જ પશુઓનો અડીંગો જોવા મળતા અકસ્માતોની સંભાવના ઉભી થઇ
ભરૂચ | ગુજરાત | સમાચાર
August 28, 2025 · 1 min read
ભરૂચની આમોદ નગરપાલિકાની બેદરકારી
કચેરી બહાર જ રખડતા ઢોરનો ત્રાસ
ટ્રાફિકજામની પણ વિકટ સમસ્યા
તંત્ર દ્વારા ઢોર પકડવા કામગીરી કરવામાં આવે એવી માંગ
ભરૂચની આમોદ નગર સેવા સદનની કચેરી બહાર જ રખડતા પશુઓ અડિંગો જમાવતા ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરભરમાં રખડતા પશુનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે નગર સેવા સદન દ્વારા ઢોર પકડવા કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે
ભરૂચની આમોદ નગરપાલિકાની બેદરકારીના કારણે નગરજનો જીવના જોખમમાં મુકાયા છે. નગરપાલિકા કચેરીના મુખ્ય દ્વાર અને કમ્પાઉન્ડમાં જ પશુઓનો અડીંગો જોવા મળતા અકસ્માતોની સંભાવના ઉભી થઇ છે સાથે જ કામ અર્થે આવતા અરજદારોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. આમોદમાં શાકભાજી અને ફળની લારીઓ ધરાવતા વેપારીઓ રખડતા પશુઓથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. નગરપાલિકા દ્વારા રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા કોઈ પગલાં ભરવામાં ન આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
તાજેતરમાં મામલતદાર કચેરી ખાતે ગણેશ વિસર્જન દરમિયાન મામલતદાર, પોલીસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની હાજરીમાં આયોજકો દ્વારા રખડતા પશુઓને લઇ રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં નગરપાલિકાની બેદરકારી સામે આવી રહી છે.નગરપાલિકા કચેરી નજીક જ રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે અન્ય વિસ્તારની સ્થિતિ શુ હશે એ સમજી શકાય છે.