-
ભાલોદમાં ગંગા દશહરા પર્વની ભવ્ય ઉજવણી
-
માઁ નર્મદાને ભક્તો દ્વારા ચૂંદડી અર્પણ કરાઈ
-
હોડી અને ભક્તોની માનવ સાંકળ દ્વારા ચૂંદડી અર્પણ કરાઈ
-
વેદોક્ત મંત્રોચ્ચાર અને નર્મદે હરનો જયઘોષ ગુંજી ઉઠ્યો
-
ભક્તોએ ભવ્ય મહાઆરતીનો લ્હાવો લીધો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પવિત્ર નર્મદા નદીના કિનારે ‘ગંગા દશહરા‘ પર્વની અખૂટ શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી.આ પાવન અવસરે સમગ્ર પંથક જાણે નર્મદામય બની ગયો હતો.
નર્મદા કિનારે વસેલા ગામોમાં ધાર્મિક ઉત્સવોનો એક અનોખો અને દિવ્ય માહોલ જોવા મળતો હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પવિત્ર નર્મદા નદીના કિનારે ‘ગંગા દશહરા‘ પર્વની અખૂટ શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે સમગ્ર પંથક જાણે નર્મદામય બની ગયો હતો.
આ વર્ષે ઉજવણીમાં ભક્તિનો એક અનોખો સેતુ જોવા મળ્યો હતો. ભક્તો દ્વારા માઁ નર્મદાને એક કિનારેથી લઈને સામેના બીજા કિનારા સુધી સેંકડો મીટર લાંબી વિશાળ ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. નાવડીઓ અને ભક્તોની માનવ સાંકળ દ્વારા નદીના એક છેડાથી બીજા છેડા સુધી લંબાવવામાં આવેલી આ રંગબેરંગી ચુંદડીનું દ્રશ્ય એટલું ભવ્ય હતું, જાણે સાક્ષાત નર્મદા મૈયાએ ભક્તોની ભક્તિની ચુંદડી ઓઢી હોય!
આ ધાર્મિક મહોત્સવ દરમિયાન બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી માઁ નર્મદાનું પૂજન-અર્ચન અને અભિષેક કરાયો હતો. જેનાથી સમગ્ર નર્મદા કિનારો વેદોક્ત મંત્રોચ્ચાર અને “નર્મદે હર” તેમજ “ગંગા મૈયા કી જય” ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. તો સાંજના સમયે માઁ નર્મદાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં સેંકડો દીવડાઓના પ્રકાશથી આખો કિનારો ઝળહળી ઉઠ્યો હતો.
આ ભક્તિમય માહોલમાં ભાલોદ ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો, બ્રહ્મ સમાજના અગ્રણીઓ, મહિલા મંડળો અને સ્થાનિક સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકોએ માઁ નર્મદાની વિશેષ પૂજા-અર્ચનાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
