ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના કહેવા પ્રમાણે કોઈ પણ બેંક ફાટેલી નોટ બદલી આપવાથી ઇન્કાર કરી શકે નહીં. એટલું જ નહીં, તેના પર કોઈ ચાર્જ પણ નહીં કાપી શકે. જો કોઈ બેંક આવું કરવાથી ઇન્કાર કરે છે તે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આથી જો તમારે પાસે ફાટેલી ચલણી નોટો છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ફાટેલી નોટના બદલામાં તમને પૂર્ણ રકમ મળશે. ફાટેલી નોટો અંગે RBIનો શું નિયમ છે તેના વિશે જાણીએ..

ફાટેલી ચલણી નોટોના કારણે અનેક લોકો પરેશાન છે. આર્થિક વ્યવહારો સમયે ધ્યાન બહાર ખિસ્સામાં આવી જતી ફાટેલી નોટો વાપરવી મુશ્કેલ હોય છે. અધૂરામાં પૂરું ઘણી વખત એટીએમમાંથી પૈસા કાઢતી વખતે પણ ફાટેલી નોટ આવી જાય છે. આવી નોટોના કારણે લોકો પરેશાન થાય છે. અલબત્ત, હવે જો એટીએમમાંથી આ પ્રકારની નોટો બહાર આવે તો પરેશાન થવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોકોની તકલીફ જોઈને નવો ઉકેલ આપ્યો છે.

એટીએમમાંથી જો ફાટેલી નોટ નીકળે તો તમે બેંકનો સંપર્ક કરી શકો છો. બેંક તેમને નોટો બદલી આપશે. અલબત્ત, એ માટે તમારે ફોર્મ ભરવું પડશે. જેમાં સમય, તારીખ અને કયા એટીએમમાંથી આ નોટ નીકળી તે દર્શાવવું પડશે. આ સાથે તમારે વિથડ્રોવ સ્લીપ પણ જમા કરાવવી પડશે. જો એટીએમમાંથી સ્લીપ નીકળી ન હોય તો તમારા મોબાઈલમાં આવેલો મેસેજ એટેચ કરવો પડશે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ એટીએમમાંથી નીકળેલી ફાટેલી નોટને બેંકમાં લઈ જઈ શકાય છે, ત્યાં જઈને બેંક કર્મચારીને તે નોટ તેમના એટીએમમાંથી નીકળી હોવાનું જણાવવાનું રહે છે. ત્યારબાદ આ નોટ બદલી અપાય છે. જો આવી સ્થિતિમાં પણ બેંક તમારી નોટ પરત ન લે તો અન્ય ઉકેલ પણ આજમાવી શકો છો. રિઝર્વ બેંકના એક્સચેન્જ કરન્સી નિયમ 2017 મુજબ જો તમને ફાટેલી નોટો મળે તો તે બદલી આપવાની જવાબદારી બેંકની છે. તેમાં વધુ સમય લાગતો નથી. નિયમો મુજબ, કોઈ પણ બેંક એટીએમમાંથી નીકળેલી ફાટેલી નોટ લેવાની ના પાડી શકે નહીં. જો બેંક નિયમોનો ભંગ કરે તો બેંક કર્મચારી સામે કાર્યવાહી અને મોટો દંડ થઈ શકે છે.

રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે ફાટેલી ચલણી નોટ દેશની કોઈ પણ બેંકમાં બદલી શકાય છે. આ માટે તમારે તમારી બ્રાંચમાં જવાની પણ જરૂર નથી. આવી નોટો લેવાનો ઇન્કાર કરનાર બેંકો સામે કાર્યવાહી પણ થઈ શકે છે. જોકે, આ માટે કેટલાક નિયમો પણ છે. જે પ્રમાણે નોટ જેટલી ખરાબ હશે એટલી જ તેની કિંમત ઓછી થતી જશે.

જો તમારી પાસે 5, 10, 20, 50 રૂપિયા જેવા ઓછા મૂલ્યની ફાટેલી નોટો છે તો તેનો આછોમાં ઓછો 50 ટકા હિસ્સો હોવો જરૂરી છે. આવા કેસમાં કરન્સી નોટની પૂરી કિંમત તમને ચૂકવવામાં આવશે. જો 50 ટકાથી ઓછો હિસ્સો હશે તો તમને કંઈ નહીં મળે. ઉદાહરણ જોઈએ તો, જો તમારી પાસે પાંચ રૂપિયાની ફાટેલી નોટ છે. આ નોટનો 50 ટકા હિસ્સો તમારી પાસે છે તો બેંક તમને તેના બદલામાં પૂરેપૂરા પાંચ રૂપિયા આપશે.

રિઝર્વ બેંક પ્રમાણે જો તમારી પાસે 20થી વધારે ફાટેલી નોટ છે અને તેની કિંમત 5,000થી વધારે છે તો તમારે તેના પર ટ્રાન્ઝેક્શન ચાર્જ ચૂકવવો પડશે. નોટ બદલતા પહેલા એ પણ જાણી લો કે તેમાં ગાંધીજીનો વોટરમાર્ક, ગવર્નરની સાઇન અને સીરિયલ નંબર જેવા સિક્યોરિટી સિમ્બોલ છે કે નહીં. જો તમારી પાસે રહેલી નોટમાં આ તમામ સિમ્બોલ છે તો બેંકે નોટ બદલી આપવી પડશે.

અનેક ટુકડામાં રહેલી નોટોને બદલવા માટે પણ આરબીઆઈનો નિયમ છે. આવી નોટોને બદલવાની પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. આ માટે તમારે આરબીઆઈની બ્રાંચમાં પોસ્ટ મારફતે આ નોટો મોકલવી પડશે. જેમાં તમારે એકાઉન્ટ નંબર, બ્રાંચનું નામ, આઈએફએસસી કોડ, નોટની કિંમત વગેરેની જાણકારી આપવી પડશે.

રિઝર્વ બેંક આવી ફાટેલી નોટોને ચલણમાંથી હટાવે છે. જેની જગ્યાએ નવી નોટો છાપવાની જવાબદારી આરબીઆઈની છે. પહેલા આવી નોટોને સળગાવી દેવામાં આવતી હતી. હવે આવી નોટોના નાનાં નાનાં ટુકડામાં કરીને તેને રિસાઇકલ કરવામાં આવે છે. આ નોટોમાથી પેપર પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. બાદમાં તેને બજારમાં વેચી દેવામાં આવે છે.