હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી તા. ૧૩થી ૧૭ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરાશે તેવી રાહત કમિશનર પી. સ્વરૂપે માહિતી આપી હતી.
કચ્છ, દેવભૂમી દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજયમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની ૧૮-૧૮ ટીમો તહેનાત કરાય છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૧૮ જળાશયો હાઈ એલર્ટ અને ૮ જળાશયો એલર્ટ પર રખાયા છે. તો બીજી તરફ એસ.ઈ.ઓ.સી., ગાંધીનગર ખાતે રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાય હતી.
સમગ્ર રાજ્યમાં આગામી તા. ૧૩થી ૧૭ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે, તેમ રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપે જણાવ્યું હતું. એસ.ઈ.ઓ.સી., ગાંધીનગર ખાતે આજે રાહત કમિશનર અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાય હતી. રાજ્યમાં વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી રાહત કામગીરીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતુ કે, રાજયમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અમરેલી-૧, બનાસકાંઠા-૧, ભરૂચ-૧, ભાવનગર-૧, દેવભૂમી દ્વારકા-૧, ગીર સોમનાથ-૧, જામનગર-૧, જુનાગઢ-૧, કચ્છ-૧, નર્મદા-૧, નવસારી-૨, રાજકોટ-૧, સુરત-૧ અને તાપીમાં-૧ એમ NDRFની કુલ ૧૮ ટીમો તહેનાત કરવામાં આવી છે, જ્યારે ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર-૧, નર્મદા-૧, આણંદ-૧, ભરૂચ-૨, છોટાઉદેપુર-૧, ડાંગ-૧, ગીર સોમનાથ-૨, જામનગર-૧, ખેડા-૨, મોરબી-૧, નર્મદા-૧, પાટણ-૧, પોરબંદર-૧, સુરેન્દ્રનગર-૨, તાપી-૧ આમ SDRFની કુલ ૧૮ પ્લાટુન તહેનાત કરવામાં આવી છે. રાહત કમિશનરે વધુમાં જણાવ્યુ હતું કે, ચાલુ વર્ષે તા. ૧૧ જુલાઇની સ્થિતિએ રાજ્યમાં અંદાજીત ૪૪,૩૬,૯૮૦ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ વાવણી ચાલુ છે. તો બીજી તરફ રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧૫૯૪૦૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૭૧% છે જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં ૭% જેટલો વઘારો થયો છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨૫૧૨૦૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ ૧૮ જળાશય, એલર્ટ ૫ર કુલ ૦૮ જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ ૧૧ જળાશય છે. રાહત કમિશનરએ વરસાદ પ્રભાવિત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સફાઇની કામગીરી, પાણી ભરાયેલ વિસ્તારમાં ડીવોટરીગ પં૫ની વ્યવસ્થા, તુટેલા રોડ તાત્કાલીક રીપેર થાય તેમજ આરોગ્યલક્ષી કાળજી લેવા જરૂરી સૂચનાઓ આપી હતી. હવામાન વિભાગના નિયામક મોહંતી મનોહરે ગુજરાતમાં આગામી સમયમાં સંભવિત વરસાદની વિગતો આપી હતી. આ બેઠકમાં રાહત નિયામક સી.સી.પટેલ, તેમજ ઊર્જા, માર્ગ-મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, કૃષિ-પશુપાલન, ફોરેસ્ટ, NDRF, SDRF, GMB, GSDMA અને ફાયર સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
