અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પરિવાર સહિત સંયુક્ત અરબ અમીરાત(UAE)માં શરણ લીધી છે. દેશ છોડ્યાના ચોથા દિવસની મોડી રાતે લગભગ 10.45 વાગ્યે તેઓ પ્રથમ વિશ્વ સમક્ષ આવ્યા. તેમણે કહ્યું હતું કે મેં કદાચ દેશ છોડ્યો નહોત તો લોહીની નદીઓ વહી હોત. હું મારા દેશમાં આવું થતું જોઈ ન શકત. મને પણ ફાંસીએ લટકાવી દેવાયો હોત.ગનીએ પૈસા લઈને ભાગવાના આરોપ અંગે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે હું દેશના પૈસા લઈને આવ્યો નથી. આ આરોપ પાયાવિહોણા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના નિવેદન પર ગનીએ કહ્યું હતું કે અમે તાલિબાન સાથે વાતચીત કરી રહ્યા હતા, જોકે એ નિષ્ફળ રહી. તેમણે આર્મી અને અધિકારીઓને ધન્યવાદ પણ આપ્યા.તાલિબાન સાથે થયેલા કરારમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે કાબુલ શહેરની અંદર આવશે નહિ. રવિવારે(15 ઓગસ્ટ) બપોરે મને મારા ગાર્ડ્સે જણાવ્યું હતું કે તાલિબાનો રાષ્ટ્રપતિ મહેલની બાઉન્ડરી વોલ સુધી પહોંચી ગયા છે.

જો હું અફઘાનિસ્તાનમાં રહ્યો હોત તો દેશના લોકો વધુ એક રાષ્ટ્રપતિને સર-એ-આમ ફાંસીના ફંદા પર લટકતા જોત. હું દેશમાંથી કોઈપણ પ્રકારની કેશ લઈને આવ્યો નથી. મેં યુએઈ પહોંચ્યા પછી આમ નાગરિકની જેમ કસ્ટમ ક્લિયરન્સ લીધું. હું મારાં કપડાં જ સાથે લાવ્યો છું. મારી લાઈબ્રેરી પણ સાથે લાવવા માગતો હતો, જોકે એ શક્ય ન બન્યું. અમારા સુરક્ષાદળ નિષ્ફળ રહ્યા નથી. દેશના મોટા નેતા અને ઈન્ટરનેશનલ કમ્યુનિટી નિષ્ફળ રહ્યાં છે. હું મારા દેશમાં પરત ફરવા માગુ છું અને એના માટે હામિદ કરજઈ અને અબ્દુલ્લા અબ્દુલ્લાના સંપર્કમાં છું. આ જ લોકો તાલિબાન સાથે વાતચીત કરી રહ્યા છે.