તમે, અત્યાર સુધીમાં વેપારીઓ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યા હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ કોઈ જમાઈ વ્યાજખોર પત્ની, સાળી અને સસરાના ત્રાસનો ભોગ બન્યો હોય તેવી ઘટના પહેલી વાર પ્રકાશમાં આવી છે. અમદાવાદ શહેરની એક હોસ્પિટલના બિછાને પડેલ આ વ્યક્તિ છે ધ્રુવ પટેલ. ધ્રુવ પટેલને હાલ શરીરના અલગ અલગ ભાગોમાં 9 જેટલા ફ્રેક્ચર થતા સર્જરી ચાલી રહી છે. આવું થવા પાછળનું કારણ તેમના સાસરિયાઓ છે, જેઓની હાલ ધરપકડ કરાઈ છે.
ધ્રુવ પટેલ પત્ની અને બાળક સાથે અલગ રહે છે. ધ્રુવ પટેલને આર્થિક તંગી આવતા તેઓએ પત્ની, સાળી અને સસરા પાસેથી અઢી ટકાના વ્યાજે 10થી 12 લાખ રૂપિયા લીધા હતા. જોકે, પાંચેક વર્ષમાં તેઓએ મૂડી અને સાથે મૂડી કરતા પણ વધારે વ્યાજ ચૂકવી દીધું હતું. છતાંય સાસરિયાઓ ત્રાસ આપતા ધ્રુવ પટેલે એક ફ્લેટમાં જઈ 11માં માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓને હાથે-પગે અને અન્ય ભાગોમાં 9થી વધારે ફ્રેક્ચર થતા તેઓ હાલ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા ધ્રુવના વાહનની ડેકીમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી.
જેમાં તેણે માતા-પિતાને સંબોધીને લખ્યું હતું કે, પત્ની રીંકુના પરિવારવાળા માત્રને માત્ર પૈસા માટે સંબંધ રાખે છે. મેં રીંકુ, તેની બહેન તથા સસરા પાસેથી લીધેલા નાણાં 5 વર્ષમાં વ્યાજ સાથે ચૂકવી દીધા છે, અને વ્યાજ પણ એટલું આપ્યું કે, મૂડી કરતા પણ રકમ વધી જાય છે. જોકે, પત્ની તેની બહેન સસરા સહિતના લોકો ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા, જેથી આ અંતિમ પગલું ભરૂ છું. તેમ આ ચિઠ્ઠીમાં લખેલું લખાણ મળી આવ્યું હતું. જે પુરાવા આધારે સોલા પોલીસે ચિઠ્ઠી જાપ્ત કરી વ્યાજખોર સાસરિયાઓ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170