અંકલેશ્વરના નવા હરીપુરા ઓફીસ ફળિયામાં રહેતા સંજયકુમાર મહેશ વસાવાનો ભાઈ તેના મિત્ર સક્કરપોર ગામના ખાલપીયા ફળિયામાં રહેતા ૧૯ વર્ષીય સ્નેહલકુમાર હસમુખ વસાવાની કેટીએમ બાઈક ઉપર સવાર થઇ અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન નવા પુનગામ પાસેના લખા હનુમાન મંદિર સામે નાળા નજીક પાછળથી ધસી આવેલ એસટી બસના ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બસની નીચે આવી જતા સ્નેહલ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.જયારે અન્ય બે મિત્રોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જયારે અંકલેશ્વરની માં રેસીડેન્સીમાં રહેતા મયંક પટેલ પોતાની બાઈક લઇ પત્ની મોસમીબેન સાથે નવા હરીપુરા ગામથી સામાજિક પ્રસંગમાંથી અંકલેશ્વર આવી રહ્યા હતા તે દરમિયાન રાતે પોણા અગિયાર વાગ્યે સજોદ-અંકલેશ્વર વચ્ચે જી.એસ.પી.સી. ગેસ સ્ટેશન પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ ઈનોવા કાર ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે મોસમીબેનને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હતી અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
