ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સંમેલનમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370 ની કલમ નાબુદી અને CAA લાગુ કરી ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી અંજલિ આપી હોવાનું જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન કવન, તેમના યોગદાન, બલિદાનને જિલ્લા કાર્યકરો સમક્ષ રજૂ કર્યું હતું. સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામી, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ સહિતની ઉપસ્થિતિમાં ડો.મુખર્જીના રાષ્ટ્રવાદ અને બલિદાનને વંદન કરી સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે, ડો.શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓના આદર્શ અને સિદ્ધાંતો પર ચાલી પ્રત્યેક ભાજપ કાર્યકર્તા રાષ્ટ્રહિત માટે હંમેશા કાર્યરત રહે તેવો અભિગમ વ્યક્ત કરાયો હતો.