ભરૂચ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તાઓ ઉપર ખાડા પડવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તાઓ ખરાબ થયેલા હતા. વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓના દુરસ્તી કામમાં રૂકાવટ આવતી હતી પરંતુ વરસાદના વિરામની સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા રસ્તાઓના મરામતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. 

Roads Repair

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર રોનક શાહના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને અંકલેશ્વરથી રાજપીપલા, રાજપારડી થી નેત્રંગ, ઉમલ્લા અશા- પાણેથા, અંકલેશ્વર વાલીયા નેત્રંગ અને સમની વાગરા,પાલેજ ઈખર સરભાણ,વાગરા ગંધાર દેરોલ વગેરે રોડ ઉપર વેટ મિક્સ અને કોન્ક્રીટ મેટલ પેચવર્ક આરએમસી પ્લાન્ટથી શરૂ કરવામાં આવ્યા છે.

Roads Repairs

રસ્તાઓની દૂરસ્તી કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની ૧૬ ટીમ કાર્યરત કરવામાં આવી છે, જેમાં ૧૮ જેસીબી મશીન, ૧૪ જેટલા રોડ રોલર, ૨ ગ્રેડર ૦૭ ટ્રેક્ટર અને ૩૧ જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે, આ કામ માટે સુપરવાઇઝર સહિત કુલ ૧૬૩ વ્યક્તિઓની ટીમ રસ્તાઓની દૂરસ્તી માટે કામ કરી રહી છે.