• દાઉદી વ્હોરા સમાજનો સાહસિક નિર્ણય

  • બાળકો હવે નહીં વાપરી શકે મોબાઈલ ફોન

  • 15 વર્ષથી ઓછી વયના બાળકો અંગે લેવાયો નિર્ણય

  • સમાજના ધર્મગુરુ દ્વારા કરાયું ફરમાન

  • સમાજના લોકોએ નિર્ણયને બિરદાવ્યો

દાહોદના દાઉદી વ્હોરા સમાજના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનોખી પહેલ કરવામાં આવી છે,જેમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ વાપરવા ઉપર પ્રતિબંધ લદાયો  છે,જે બાબત અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ છે.

મુંબઈ ખાતેના દાઉદી વ્હોરા સમાજના હેડક્વાટર ખાતેથી દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલિકદર મુફદ્દલ સાહેબ દ્રારા એક આદેશ સમાજમાં મોકલવામાં આવ્યો છે.જેમાં 15 વર્ષથી નાના બાળકોને મોબાઇલ ફોન વાપરવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે.આ સમાજમાં ધર્મગુરુના કોઈપણ આદેશ બાદ તેનું પાલન કરવું અનિવાર્ય રહેલું છે. કારણ કે આ સમાજમાં જે નિર્ણય મુંબઈ ખાતેના હેડક્વાટરથી પસાર કરવામાં આવે તો તેનું પાલન અવશ્ય થતું હોય છે.

બાળકોને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ માટે મસ્જિદોને કમિટીઓ બનાવવા માટે પણ સૂચનાઓ અપાઈ છે.સમાજના મોભીઓએ જણાવ્યું છે કે 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ વાપરવા ઉપરના પ્રતિબંધ વિશે સમાજના અલગ અલગ સંગઠનો બાળકોને જાગૃત કરવાની કામગીરી કરશે.અને સમાજના લોકોએ આ નિર્ણયને બિરદાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દાઉદી વ્હોરા સમાજ દ્વારા શરુ કરવામાં આવેલી આ પહેલ અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ છે,અને આવનાર સમયમાં અન્ય સમાજ પણ આ પ્રમાણેનો નિર્ણય લેશે તેમ લાગી રહ્યું છે.