આજે નવરાત્રિનું ચોથું નોરતું, આજે કુષ્માંડા માતાજીની પુજા કરવામાં આવે છે. માતાજીની પૂજા, અર્ચના અને ભોગ ધારવાથી માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે કુષ્માંડા માતાજીને માલપુઆનો પ્રસાદ ધરવામાં આવે છે. તમે કોઈ લીલા ફળનો પણ પ્રસાદ ધરી શકો છો. સામાન્ય રીતે માલપુઆ મેંદાના લોટ માંથી બનતા હોય છે પરંતુ આજે અમે તમને હેલ્ધી ઘઉના લોટ માંથી માલપુઆ કેવી રીતે બને તે જણાવીશું. આ માલપુઆ ખાવાની પણ મજા આવશે અને માતાજીને ભોગ પણ ધરી શકાય છે. તો ચાલો નોંધી લો માલપુઆનો પ્રસાદ બનાવવાની રીત....
માલપુઆ બનાવવાની સામગ્રી :-
:-· 2 કપ ઘઉંનો લોટ
· જરૂર મુજબ ખાંડ
· કેસરના તાંતણા
· ઇલાયચી પાવડર
· બદામ, પિસ્તાની કતરણ
· ડ્રાયફ્રૂટ્સ પાવડર
· ઘી
માલપુઆ બનાવવાની રીત :-
· જાળીદાર અને સોફ્ટ માલપુઆ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું બાઉલ લો અને એમાં ઘઉંનો લોટ ચાળી લો.
· પછી આ ઘઉંનો લોટમાં દૂધ નાખતા જાવો અને હલાવતા જાવો. આમ કરવાથી ગઠ્ઠા નહીં પડે. તમે એક સાથે દૂધ નાખીને પછી હલાવશો તો ગઠ્ઠા પડવા લાગશે.
· હવે આ મિશ્રણમાં ડ્રાયફ્રૂટસ પાવડર નાખો. આ પાવડર તમારે ઘરે બનાવવાનો છે. આ પાવડર બનાવવા માટે કેસર, બદામ, પિસ્તા, અખરોટ લો અને મિક્સરમાં ક્રશ કરી લો. હવે આ પાવડરને મિશ્રણમાં નાખો અને હલાવી દો.પછી એક મિનિટ રહીને કેસરના તાંતણા નાખો.
· ત્યારબાદ ઇલાયચી અને ખાંડ નાખો.
· આ બધી વસ્તુ એડ કર્યા પછી એક કલાક માટે ઢાંકીને મુકી રાખો. મોટાભાગના લોકો તરત જ માલપુઆ કરવા લાગે છે, પરંતુ તમને જણાવી દઇએ કે આમ કરવાથી માલપુઆમાં જાળી પડશે નહીં અને ખાવાની પણ મજા આવે છે. આ સિક્રેટ ટિપ્સ તમારા માટે બહુ કામની છે.
· ત્યારબાદ નોનસ્ટિક પેન લો અને ગરમ કરવા માટે મુકો. પેન ગરમ થઇ જાય એટલે ઘી ચારેબાજુ થોડી નાખી દો.
· પછી માલપુઆનું ખીરું લઇને પેનમાં ચારેબાજુ ફેલાવીને ગોળ કરો.
· હવે આજુબાજુ ઘી નાખો અને થવા દો.
· એક સાઇડ આછા બ્રાઉન રંગના થાય એટલે બીજી બાજુ ફેરવી લો.
· બીજી બાજુ થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો.
· ગાર્નિશિંગ માટે ઉપરથી બદામ-પિસ્તાની કતરણ નાખો.
· તો તૈયાર છે જાળીદાર માલપુઆનો પ્રસાદ....