સમગ્ર દેશમાં સૌપ્રથમ વાર ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ સર્વિસનો પ્રારંભ કરવામાં આવશે, ત્યારે આ સેવાકાર્ય માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને દરખાસ્ત કરી છે.

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના અધ્યક્ષસ્થાને મળેલી એક બેઠકમાં ગુજરાતમાં હવાઈ સુવિધાનો વ્યાપ વધે તે માટે ગુજરાત સરકારે વિવિધ માગણી કરી છે. નાગરિક ઊડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે, આગામી દિવસોમાં મુખ્યમંત્રીના જૂના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં ફેરવી આ સેવાકાર્યનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં 108 દ્વારા મળતા કોલમાં કલાકનું ભાડું રૂપિયા 50 હજાર, હોસ્પિટલો માટે રૂપિયા 55 હજાર અને ખાનગી વ્યક્તિના કોલમાં એર એમ્બ્યુલન્સનું કલાકનું ભાડું રૂપિયા 60 હજાર લેવામાં આવશે.

આ સાથે જ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે, સાબરમતીથી કેવડિયા સુધીની સી-પ્લેન સર્વિસ શરૂ થઈ હતી, જેનો કોન્ટ્રાક્ટ પૂરો થતા હવે તેમાં નવેસરથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાશે. આ સિવાય 6 સ્થળે સી-પ્લેન સર્વિસ માટે પણ સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 2 સી-પ્લેનની સેવા બદલ આર્થિક સહાય મળે તે માટે પણ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાય છે. સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સવાર-સાંજ 2 ફ્લાઇટ પણ પાઇલટ પ્રોજેક્ટ તરીકે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.