કોરોના વાયરસના મહામારીના કારણે ગુજરાત સરકારે સ્કૂલોમાં ધોરણ 1 થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. એવામાં હવે નવા શૈક્ષણિક વર્ષમાં હાઈસ્કૂલોમાં વર્ગની તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે.
શાળા કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના ધોરણ 9, 10, 11 અને 12ના હયાત વર્ગોની સંખ્યા મંગાવાઈ છે. ત્યારે બીજી તરફ નવા વર્ગ વધારા માટે 1લી જૂનથી 31 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અંગે શિક્ષણ બોર્ડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે. માસ પ્રમોશનથી ધો.10ના એકસાથે પાસ થયેલા 9.5 લાખ વિદ્યાથીને આગળ પ્રવેશ કેમનો આપવો એને લઈને શિક્ષણ વિભાગ, વાલી અને શાળા-સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. એવામાં સરકાર દ્વારા નવા વર્ગો વધારવા માટે અત્યારથી કામગીરી આરંભી દેવામાં આવી છે.
બીજી તરફ શાળાઓમાં વર્ગ વધારીને નવા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. ધો.10માં માસ પ્રમોશન આપવાથી ધોરણ.11માં પ્રવેશ લેનારા નવા વધુ વિદ્યાર્થીઓને સમાવવા માટે 2 હજાર જેટલા વર્ગો અને 3000થી વધુ શિક્ષકોની જરૂરિયાત ઉભી થશે તેવુ શિક્ષણ વિભાગના જ અધિકારીઓનું માનવું છે. આટલા ટુંકા સમયમાં સ્કૂલો આટલી મોટી માત્રમાં વર્ગો કેવી રીતે વધારશે અને શિક્ષકોને નિમણૂંક આપવીએ મોટો પડકાર છે.