GPSCની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC )ના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ‘X’ પર માહિતી આપતા જણાવ્યું હતું કે 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી GPSCની પરીક્ષા યોજાશે નહીં. તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમય જાહેર કરવામાં આવશે.

બે દિવસ પહેલા 21 જાન્યુઆરીએ હસમુખ પટેલે પરીક્ષકના મહેનતાણા વિશે માહિતી આપતા લખ્યુ કે, ‘નિબંધલક્ષી પરીક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણુ આયોગ દ્વારા બમણુ કરવામાં આવ્યું છે.આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકે છે.

ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારો માટે પણ GPSC દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે. જે વિશે માહિતી આપતા હસમુખ પટેલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ‘આયોગમાં ઇન્ટરવ્યૂ આપવા આવનારા ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળ તેમજ બપોરનું જમવાનું આપવામાં આવશે.