ચારેય તરફ કોરોનાનો હાહાકાર : જુઓ અમારી વિશેષ રજુઆત

New Update
ચારેય તરફ કોરોનાનો હાહાકાર : જુઓ અમારી વિશેષ રજુઆત

અમદાવાદ, સાબરમતી નદીના ખોળે વસેલું ગુજરાતનું સૌથી મોટુ શહેર, સદાય ધબકતું અને જીવંત રહેતું શહેર પણ છેલ્લા એક વર્ષમાં કોરોનાએ આ શહેરનો શ્વાસ રોકી દીધો હોય તેમ લાગી રહયું છે. 2020ની શરૂઆતમાં અમદાવાદમાંથી કોરોના વાયરસનો પ્રથમ કેસ મળી આવ્યાં બાદ કોરોનાના દર્દીઓની રફતાર લાગી અને અમદાવાદ કોરોના વાયરસનું એપી સેન્ટર બની ગયું......

અમદાવાદ શહેરની વસતી સૌથી વધારે છે ત્યારે અહીં કોરોના વાયરસના સંક્રમણનો ભય પણ સૌથી વધારે રહેલો છે. 2020નું વર્ષ કોરોના વાયરસના નામે રહયું હતું. અમદાવાદમાં તો સ્થિતિ એટલી વિકટ બની હતી કે સરકારને અમુક વિસ્તારોમાં કરફયુ લાદવાની ફરજ પડી હતી. આજે એક વર્ષ બાદ પણ અમદાવાદ અને રાત્રિ કરફયુ એકબીજાના પર્યાય બની ગયાં છે. અમદાવાદમાં પહેલાં તોફાનોના સમયમાં કરફયુ લાદવામાં આવતો હતો પણ પહેલી જ વખત અમદાવાદીઓ સહિત રાજયના લોકોએ કોઇ બિમારીને રોકવા કરફયુ અમલમાં આવ્યો હોય તેવું જોયું છે. અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ હજી ઓછું થયું નથી લોકો જરૂરથી બેફીકર બન્યાં છે. કોરોના વાયરસથી બચવા માટે સોશિયલ ડીસટન્સ જાળવવું તથા માસ્ક પહેરવું ફરજિયાત છે પણ હજી કેટલાય અમદાવાદીઓ બેદરકારી દાખવી રહયાં છે. અમારા સંવાદદાતા મયુર મેવાડાએ અમદાવાદના સૌથી ગીચ એવા જમાલપુર એપીએમસીની મુલાકાત લીધી હતી અને કેટલાક લોકો સાથે વાતચીત કરી હતી. તમે પણ જુઓ અમારા સંવાદદાતા અને લોકો વચ્ચેની વાતચીત...

તમે જોયું કે માસ્ક નહિ પહેરવા બાબતે લોકો કેવા બહાના રજુ કરી રહયાં છે. ખાસ કરીને રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ બાદ કોરોનાનો કહેર વધ્યો હોવાનું સૌ કહી રહયાં છે પણ આપણે પણ કોરોના ચાલ્યો ગયો છે તેમ માની લીધું અને ગાઇડલાઇનના ઉલાળીયા કરી નાંખ્યાં છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ફેબ્રુઆરી મહિનાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓનો ધમધમાટ શરૂ થયો હતો. પ્રથમ તબકકામાં છ મહાનગરોમાં અને બીજા તબકકામાં જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં ચુંટણી યોજાઇ હતી. લગભગ બે મહિના સુધી જાહેરસભાઓ, બેઠકો અને પ્રચારનો દોર ચાલ્યો હતો. બે મહિના દરમિયાન જાણે કોરોના ગાયબ થઇ ગયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ચુંટણીઓ હવે સમાપ્ત થઇ ગઇ છે અને કોરોનાએ ફરીથી માથું ઉચકયું છે. કોરોનાના વધી રહેલાં સંક્રમણના કારણે ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુનો સમય વધારી દેવામાં આવતાં નાના વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહયો છે. લોકો કોરોનાના સંક્રમણ માટે સરકાર અને રાજકીય પાર્ટીઓને જવાબદાર ગણાવી રહયાં છે. હવે સાંભળીશું આ બાબતે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શું કહેવું છે....

મુખ્યમંત્રી ભલે કહેતાં હોય સબ સલામત હે, પણ વાસ્તવિકતા કઇ અલગ જ દેખાઇ રહી છે. મહાનગરોમાં બાગ, બગીચાઓ, શાળાઓ, કોલેજો, જીમ, મોલ અને મલ્ટીપ્લેકસ બંધ કરી દેવાયાં છે. હાલમાં જે સ્થિતિ છે તેવી જ સ્થિત માર્ચ - 2020માં હતી. ગત વર્ષનું પુનરાવર્તન હાલમાં થઇ રહયું છે. ગત વર્ષે કોરોનાને કારણે જે પગલાં ભરવામાં આવ્યાં હતાં તે જ પગલાંઓ હવે ફરીથી ભરાય રહયાં છે.....

ગુજરાત રાજયમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના સરેરાશ 1,500 કરતાં વધારે કેસ આવી રહયાં છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરતમાં કેસ ઝડપથી વધી રહયાં છે. ત્રણ મહિનાના લોકડાઉન બાદ દેશ તેમજ રાજયમાં જનજીવનની ગાડી ફરી પાટા પર આવી છે. ધંધા અને રોજગાર માંડ ચાલુ થયાં હતાં ત્યાં કોરોનાના નવો સ્ટ્રેન આવી ગયો છે. લોકોને ઘરોની બહાર નીકળતાં રોકવા માટે રાત્રિ કરફયુનો સમય 9 થી 6 વાગ્યા સુધીનો કરવાની ફરજ પડી છે. ફરીથી લોકડાઉન આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સુરત શહેરમાંથી શ્રમજીવીઓ વતનમાં પલાયન કરી રહયાં હોવાના વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહયાં છે. આ બધાની વચ્ચે સરકાર લોકડાઉન કરવાના મુડમાં નથી કારણ કે લોકડાઉન બાદ માંડ સ્થિતિ સામાન્ય થઇ રહી છે. લોકડાઉન બાદ હવે અનલોક કરવું અઘરૂ છે. હવે જુઓ કનેકટ ગુજરાત તરફથી જનજાગૃતિ માટે તૈયાર કરવામાં આવેલો ખાસ સંદેશો..

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધવા પાછળ રાજકીય પાર્ટીઓને જવાબદાર ગણવામાં આવી રહી છે. પોતાના માથે માછલા ધોવાતાં હવે આગેવાનો પણ સુફીયાણી વાતો કરી રહયાં છે. જુઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ લોકડાઉન અંગે શું કહી રહયાં છે.

માત્ર મહાનગરો જ નહિ નાના શહેરોમાં પણ લોકોની બેદરકારી સામે આવી રહી છે. અમદાવાદ બાદ હવે વાત કરીશું ભરૂચની. ભરૂચ જિલ્લામાં પણ અત્યાર સુધીમાં 3,859 કેસ નોંધાય ચુકયાં છે....

ભરૂચ શહેરમાં 8 એપ્રિલ 2020ના રોજ કોરોનાના પ્રથમ કેસ મળી આવ્યો હતો. પ્રથમ કેસ મળવાના 11 મહિના બાદ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 3,859 સુધી પહોંચી ગઇ છે. ખાસ કરીને માર્ચ -2021ની વાત કરવામાં આવે તો કેસોની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાનો બીજો અને સૌથી અઘરો દોર ચાલી રહયો હોવા છતાં હજી લોકો બેફીકર જણાય રહયાં છે. રાજય સરકારે હાલ મહાનગરોમાં જ પ્રતિબંધો લાદયાં છે પણ જો કોરોનાના કેસ વધશે તો નાના શહેરોમાં પણ પ્રતિબંધાત્મક આદેશો આવી શકે છે. ભરૂચના બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો સોશિયલ ડીસટન્સના ધજાગરા ઉડાવી રહયાં છે. કેટલાક લોકો માસ્ક પહેરે છો તો કેટલાક લોકો પોતાને કોરોના કરતાં પણ સુપર પાવર સમજી રહયાં છે. પણ અહીં એક વાતનો ઉલ્લેખ કરવો રહયો કે, કોરોના વાયરસથી ગમે ત્યારે તમે સંક્રમિત બની શકો છો. કોરોના વાયરસના નવા સ્ટ્રેઇનનો ગુજરાતમાં પગપેસારો થઇ રહયો છે અને નવા વાયરસના કારણે હવે કલાકોમાં જ માનવીઓના મોત થઇ રહયાં છે. આવા સંજોગોમાં આવનારા દિવસો કપરા સાબિત થઇ શકે છે. અમારો ઇરાદો તમને ડરાવવાનો નથી પણ તમે જાગૃત બનો તે માટે માહિતી આપવાનો છે..


ભરૂચમાં કોરોનાના કહેર કેમ વધી રહયો છે તેના માટે અનેક કારણો જવાબદાર છે. હવે જોઇએ જિલ્લામાં અત્યાર સુધી કેવો રહયો કોરોનાનો સમયગાળો...

દેશમાં કોરોનાનું સંકટ ફરી વધ્યું છે. દેશમાં મોટા પાયે કોરોના રસીકરણ ચાલી રહ્યું હોવા છતાં કોરોનાના કેસ પૂર ઝડપે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 43,846 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે.

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. રવિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,846 નવા કેસો નોંધાતા તંત્રની ચિંતા વધી છે. તેમજ એક જ દિવસમાં કોરોના સંક્રમિત 197 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મુદ્દે અમેરિકા બાદ ભારતનો બીજો નંબર છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા ક્રમે છે.દેશમાં મોટા પાયે કોરોના રસીકરણ ચાલી રહ્યું હોવા છતાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં 4,46,03,841 લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસી લગાવવાની શરૂઆત થઈ હતી. રસીનો બીજો ડોઝ 13 ફેબ્રુઆરીથી આપવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.38 ટકા છે, જ્યારે રિકવરી રેટ આશરે 96 ટકા છે.

માત્ર અમદાવાદ અને ભરૂચમાં જ નહિ સમગ્ર દેશ અને રાજયમાં કોરોનાના કેસ વધી રહયાં છે. કોરોનાને ડામવા સરકાર વેકસીનેશન પણ ભાર મુકી રહી છે ઠેર ઠેર વેકસીનેશન સેન્ટર કાર્યરત છે. કનેકટ ગુજરાત એક મિડીયા હાઉસ તરીકે આપ સૌ પણ વેકસીનેશન કરાવી કોરોના સામે સુરક્ષિત કવચ મેળવો તેવી અપીલ કરે છે. હાલ ફરી ગત વર્ષ જેવો સમય છે. ગત વર્ષે આપણે જે પ્રકારે ધૈર્ય, હિમંત અને જાગૃતતાથી કોરોનાનો દોર પસાર કર્યો હતો તેનું પુનરાવર્તન કરવાની જરૂર છે. આપણે સૌ માસ્ક પહેરીએ, સોશિયલ ડીસ્ટન્સ જાળવીએ અને ગાઇડલાઇનનું પાલન કરીએ. આપ તથા આપનો પરિવાર કોરોનાથી સલામત રહે તેવી અમારી લાગણી છે. આપણે પણ સલામત રહીએ અને બીજાને પણ સલામત રાખીએ.. તો આ હતી અમારી વિશેષ રજુઆત...