રાજયમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો અને કોરોનાનું સંક્રમણ બે કાબૂ રીતે આગળ વધી ગયું હતું જેને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. રાજ્યના 36 શહેરોમાં રાત્રી કરફ્યુ સહિત દિવસ દરમ્યાન પણ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની દુકાન સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા હતા. જો કે હવે રાજયમાં કોરોનાની બીજી લહેરની પિક આવી જતાં કેસમાં પણ ઘટાડો થયો છે ત્યારે રાજ્ય સરકાર લોકોને રાહત આપી રહી છે.
આજરોજ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેમાં હોટલ રેસ્ટોરન્ટ હવે ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રિના 9 વાગ્યા સુધી કરી શકશે. આ ઉપરાંત દુકાનો ખોલવા માટેનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો રાખવામા આવ્યો છે. રાત્રી કર્ફ્યુ રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામું આગામી તારીખ 4 જૂન સુધી અમલમાં રહેશે. આમ કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર પણ વિવિધ નિયંત્રણોમાં છૂટછાટ આપી રહી છે