ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે માતૃભાષા સંવર્ધન અને સંરક્ષણના ભાગરૂપે કુંવરબાઇનું મામેરું કાર્યક્રમ યોજાયો હતો.
સ્વ. સ્ક્વોડ્રન લીડર એચ.એન.ત્રિવેદીની સ્મૃતિમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા નારાયણ વિદ્યાવિહાર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે જાણીતા કેળવણીકાર ઉમાકાન્ત રાજ્યગુરુએ કુંવરબાઈનું મામેરું કાર્યક્રમ અંતર્ગત વર્ષાઋતુમાં સાહિત્ય રસને છલકાવતા પોતાની આગવી માણશૈલીમાં શ્રોતાગણોને અમૃતપાન કરાવ્યુ હતું. માતૃભાષાની અસ્મિતા ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ભાવનગર-તળાજાના વતની ઉમાકાંત રાજ્યગુરૂ કે, જેઓ ગુજરાતી સાહિત્યનું આભુષણ છે.
એટલુ જ નહી, એક રત્ન તરીકે તેઓને ગણાવી શકાય, જેઓએ મધ્યકાલીન સાહિત્યનું અનમોલ અને અપૂર્વ સાહિત્ય સ્વરૂપ આખ્યાન કાવ્ય રચ્યું છે. આ કથા કાવ્યનું કુંવરબાઈનું મામેરૂ માણને સથવારે જીવંત કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. માતૃભાષાની અસ્મિતા ઉજાગર કરતા અનોખા કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સચીન શાહ, ભરૂચ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ભરૂચ જિલ્લા સંયોજક ડો. મહેશ ઠાકર સહિત અન્ય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.