ઝઘડિયા પંથક સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ૨૨ મી જૂન ના રોજ સમયસર વરસાદનું આગમન થયું હતું. મોડી રાત્રે આશરે ૧૨ વાગ્યાના અરસામાં ખૂબ ભારે તોફાની પવન સાથે મેઘરાજાનું આગમન થવા પામ્યું હતું. ભારે પવનના પગલે નાનું મોટું નુકસાન પણ ઝઘડિયા પંથકમાં થવા પામ્યું હતું. જેમાં આજરોજ વહેલી સવારે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે એક મહાકાય પીપળો ધરાશાયી થયો હતો.
આ પીપળો ધરાશાયી થતાં બે ઇસમો ઉપર પડ્યો હતો જેના પગલે બંને ઈસમો ગંભીર રીતે ઘવાયા હતા.ઘવાયેલા દીપક રેવાદાસ વસાવા તથા રમેશ ઈશ્વરભાઈ વસાવા બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ ઈશ્વરભાઈ વસાવા ( ઉંમર વર્ષ આશરે ૫૦) નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે દીપકભાઈને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.