Connect Gujarat
ગુજરાત

જગન્નાથજીની “નગરચર્યા” : ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી, બરવાળામાં સૌપ્રથમ વખત રથયાત્રાનું આયોજન

X

અષાઢી બીજના અવસરે યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા

શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી

બોટાદના બરવાળામાં સૌપ્રથમ વખત ભવ્ય રથયાત્રાનું આયોજન

આજરોજ અષાઢી બીજના પાવન અવસરે અરવલ્લીના પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે ચાંદીના શણગારેલા રથમાં ભગવાન શામળિયાની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. તો બીજી તરફ, બોટાદ જિલ્લાના બરવાળા ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લા સ્થિત પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શામળિયાની રથયાત્રા કાઢવામાં આવી હતી. ચાંદીના શણગારેલા રથમાં ભગવાન શામળિયાના બાળ સ્વરૂપ લાલજી ભગવાનને બિરાજમાન કરી મંદિર પરિસરમાં શરણાઈના સુર વચ્ચે વાજતે-ગાજતે રથયાત્રા નીકળી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાની રથયાત્રામાં જોડાય દર્શનનો લાભ લઇ ધન્ય બન્યા હતા. રથયાત્રા બાદ ભક્તોને ફણગાવેલા મગ, જાંબુ અને કેરીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ, બોટાદ જિલ્લાના બરવાળા ખાતે પવિત્ર અષાઢી બીજ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન તેમજ લક્ષ્મણજી મંદિર દ્વારા સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં 37 જેટલા ટેબલો બનાવવામાં આવ્યા હતા. જેમાં ભજન મંડળીઓ સહિત અવનવા સંદેશાઓ તેમજ અવનવી વેશભૂષા, અલગ અલગ પ્રકારના કર્તબો સાથે ભવ્ય શોભાયાત્રા યોજાય હતી. આ શોભાયાત્રા બરવાળાના વાગડિયા શેરી વિસ્તારમાં આવેલ લક્ષ્મણજી મંદિરથી પ્રસ્થાન થઈ શહેરના રાજમાર્ગો પર ફરી હતી, ત્યારે બરવાળા શહેરમાં સૌપ્રથમ વખત યોજાયેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાવિક ભક્તો ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા.

Next Story